ભરૂચમાં મહમદપુરા રોડ પર રીલ બનાવતાં હતાં
ભરૂચ
ભરૂચના મહંમદપુરા રોડ પર જાહેર રોડ પર રીલ બનાવવાને કારણે ટ્રાફિક સર્જાયાના આક્ષેપ થતાં પોલીસે તુરંત એક્શનમાં આવી રીલ બનાવનાર તેમજ દુકાનના માલિક સહિત ૫ જણા સામે કાર્યવાહી કરી છે. શખ્સોએ એક મોબાઈલની દુકાનના પ્રમોશન માટે રીલ બનાવવા માટે અકસ્માતનો સીન ભજવ્યો હતો. જેના કારણે ટ્રાફિક જામ થતાં તેમની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
ભરૂચ શહેરના મહમંદપુરા રોડ પર આવેલી ગણેશ મોબાઈલ નામની દુકાનના માલિક વિપુલ બેરાવાલાએ તેમની દુકાનના પ્રમોશન માટે એસઆરકેના નામથી જાણીતા એવા અશરફી મલેક નામના એક સોશિયલ મિડિયા ઈન્ફલુએન્સરને બોલાવ્યાં હતાં. તેઓએ સોશિયલ મિડીયાની રીલ બનાવવા માટે જાહેર રસ્તા પર અકસ્માત થયો હોય તેવી ખોટી સ્થિતી ઉભી કરી હતી. જે બાદ અકસ્માતગ્રસ્તની એક્ટીંગ કરી રહેલાં અશરફી મલેકને ઉચકીને ગણેશ મોબાઈલ નામની દુકાનમાં લઈ જાય છે અને ત્યાં બાદમાં તેઓ દુકાનમાના સમાનની માહિતી આપતી આખી રીલ બનાવે છે. જે સોશિયલ મિડીયા પર વાયરલ થતાં તેઓ દ્વારા રીલ બનાવવાની લાલસામાં ટ્રાફિકજામની સ્થિતી ઉભી કરી હોવાની તેમજ પોતાનો અને અન્યના જીવને જોખમમાં મુક્યો હોવાના આક્ષેપ થયાં હતાં. ઘટનાને પગલે ભરૂચ પોલીસ પણ તુરંત એક્શનમાં આવતાં એ ડિવિઝન પોલીસે ગણેશ મોબાઈલના માલિક વિપુલ બેરાવાલા, સોશિયલ મિડીયા ઈન્ફ્લુએન્સર એસઆરકે અશરફી મલેક સહિત અન્ય ત્રણ જણા મોહંમદ ઝેદ સફીક સુજનીવાલા, મોહમદ રીહાન મોહંમદ આરીફ શેખ તેમજ સોહેલ મોહંમદ આરીક મન્સુરી સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
