જનસેવા કેન્દ્રનો નૂતન અભિગમ : આધુનિક કેફે, સરકારી યોજનાઓનું માર્ગદર્શન અને ‘જનસેવા વન’નું નિર્માણ
ભરૂચ
વાગરા મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા તેમજ વિવિધ અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં સુશાસન દિવસ નિમિત્તે વાગરા ખાતે નિર્માણ પામેલા અદ્યતન કેફે જનસેવા, જનસેવા કેન્દ્ર, ઇ ધરા કેન્દ્ર, મારી યોજના કક્ષ, મિટિંગ હોલ અને જનસેવા વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વાગરા મામલતદાર કચેરી તાલુકાના વિસ્તારના અરજદારોના ધસારાને ધ્યાને લઈ અંદાજિત રૂપિયા ૨૦ લાખના ખર્ચે મામલતદાર કચેરી ખાતે નવીન જનસેવા કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ જનસેવા કેન્દ્રમાં ૭/૧૨,૮ અના ઉતારા જાતિના દાખલા, રેશનકાર્ડ, આધાર કાર્ડ સહિતની વિવિધ સેવાઓ માટે લોકોને સરળતાથી ઉપલબ્ધ થશે. આ નિર્ણાધિન જનસેવા કેન્દ્રમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ૬૮૦ સરકારી યોજનાઓની વિગતવાર માહિતી દર્શાવતું પ્લેટફોર્મ ‘મારી યોજના’ અમલમાં મૂકાયું છે. અરજદારના વ્યક્તિગત માપદંડો (Criteria) મુજબ તે કઈ- કઈ યોજનાઓનો લાભ લેવા પાત્ર છે, તેની સચોટ માહિતી અહીંથી મળી રહે છે. આ વ્યવસ્થાને કારણે હવે અરજદારોને “કઈ યોજના મારા માટે છે?” તે જાણવા માટે ક્યાંય ભટકવું નહીં પડે.
વધુમાં,વહીવટી તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોની સુવિધા અને પર્યાવરણ જતનને ધ્યાનમાં રાખીને એક પ્રેરણાદાયી નવીન પહેલ કરવામાં આવી છે. આ નાનકડા જનસેવા કેન્દ્રના પ્રોજેક્ટમાં ટેકનોલોજી, લોક કલ્યાણ અને પ્રકૃતિનો સુંદર સમન્વય જોવા મળે છે. પર્યાવરણની જાળવણી માટે ૫૦૦૦ સ્ક્વેર ફૂટ જગ્યામાં ‘જનસેવા વન’ વિકસાવવામાં આવનાર છે. ખૂબ જ ટૂંકા સમયમાં અને ઓછી જગ્યામાં ગીચ જંગલ બનાવવા માટે જાણીતી મિયાંવાકી જાપાનીઝ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વનમાં હાલ ૩૨૫ વૃક્ષો વાવવામાં આવ્યા છે. સામાજિક ઉત્તરદાઈત્વ માટે સંસ્થાના સહકારથી કેફે જનસેવા માટે એક આધુનિક કેન્ટીનનું નિર્માણ કરવામાં આવ્યું છે. નાગરિકો જ્યારે પોતાના કામ અર્થે સરકારી કચેરીએ આવે છે, ત્યારે તેમને સુવિધાયુક્ત વાતાવરણ મળી રહે તે માટે ‘કેફે જનસેવા’ કાર્યરત કરવામાં આવ્યું છે. જે આધુનિક કેન્ટીન છે જ્યાં સ્વચ્છતા સાથે ગુણવત્તાયુક્ત સરકારી સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.
