નેત્રંગના શણકોઈ ગામના કાર્યકરના ઘરમાં ઘુસી હેરાન કરાયાંના આક્ષેપ
ભરૂચ.
ભાજપ દ્વારા પોલીસનો દૂરૂપયોગ કરી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોને ડરાવવા- ધમકાવવામાં આવતાં હોવાના આક્ષેપ ભરૂચ જિલ્લાની આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખએ કર્યાં છે. નેત્રંગ તાલુકાના શણકોઈ ગામે રહેતાં આમઆદમીપાર્ટીના એક કાર્યકરના ઘરમાં પોલીસ અચાનક પ્રવેશ કરી તેમના પ૨ દારૂ-જુગારનો ધંધો કરતાં હોવાનો આક્ષેપ કરી તેમને ડરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ ભરૂચ જિલ્લા સમિતીએ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, શણકોઈના તેમના કાર્યકરને ત્યાં ખોટી રીતે રેડ પાડી તેમને ડરાવવા સાથે માનસિક ત્રાસ આપી તેમની સામે ખોટી કાર્યવાહી કરી છે. તેમના આ આક્ષેપ સિવાય વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ઝઘડિયા ખાતે આવેલી નાઈટ્રેક્સ કંપનીના ૧૨-૧૩ વર્ષથી ફરજ બજાવતાં કામદારોએ કંપનીના ગેટ સામે પોતાના હક્ક માટે શાંતીપુર્ણ રીતે ભેગા થઈ વિરોધ દર્શાવી રહ્યા હતાં. ત્યાં પીઆઈ રાઠોડે કામદારોને જેલમાં પુરી દેવાની તેમજ તેમના વાહનો જપ્ત કરવાની તેમજ તેમના ડોક્યુમેન્ટમાં એવી નોંધ કરશે કે વિસ્તારની કોઈ કંપનીમાં તેમને નોકરી નહીં મળે તેવી ધમકીઓ આપી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે. સાથે સાથે દારૂબંધીને લઈને તેમણે આક્ષેપ કરી આગામી દિવસોમાં તેઓ પોલીસને દારૂના ધંધાઓ બંધ કરાવવા સાથે લઈ જશે તેવો હુંકાર કર્યો હતો.
