શહેરીજનોના મનોરંજન માટેના નર્મદા પાર્કનો ખાનગી ઈવેન્ટ માટે ઉપયોગ થતાં વિરોધ થયો હતો
। ભરૂચ ।
ભરૂચ શહેરમાં લોકોના મનોરંજન માટે સારા બાગબગીચાઓની કમી છે. જોકે, ત્રણ ચાર નાના બગીચાઓ છે જેમાં લોકો શનિ-રવિવારે મહાલવા જતાં હોય છે. જ્યારે શહેરના ઝાડેશ્વર ખાતે આવેલાં નિલકંઠેશ્વર મંદિર પાસે આવેલાં નર્મદા મૈયા પાર્ક ખાતે રોજ લોકોની ભીડ જામતી હોય છે. નિલકંઠેશ્વર મંદીરે દર્શાનાર્થે આવતાં-જતાં લોકો તેમના બાળકોને સાથે લાવી અહીં મનોરંજન મેળવતાં હોય છે. ત્યારે છેલ્લા કેટલાંક સમયથી નર્મદા પાર્ક પર ખાનગી ઈવેન્ટ શરૂ કરી દેવાયાં છે.
જેમાં થોડા સમયે પહેલાં આ પાર્કમાં એક રાજકિય આગેવાનના સંતાનના લગ્નનો કાર્યક્રમ યોજાયો હતો. જોકે, તેનો વિરોધ કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. જે બાદ હવે નર્મદા મૈયા બિજના સંચાલકો દ્વારા થર્ટી ફર્સ્ટની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો શહેરના જાગૃત નાગરિકોએ કર્યો હતો. ઉપરાંત હિન્દુ સંસ્થાઓએ પણ તેનો વિરોધ કર્યો હતો. જાગૃત નાગરિકોએ આક્ષેપ કર્યો હતો કે, નર્મદા પાર્કની આજુબાજુમાં અનેક ધાર્મિક સ્થળો આવેલાં છે.ત્યારે અહીં મોટી મોટી ઈવેન્ટોનું આયોજન કરાય તો ધાર્મિક સ્થળોની શાંતીભંગ થવાની પુરેપુરી સંભાવનાઓ છે. ઉપારાંત ધાર્મિક લોકોની આસ્થાને પણ ઠેસ પહોંચે છે. જેના કારણે આ કાર્યક્રમને રદ કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી. વહિવટી તંત્રએ તમામ પાસાઓને જોઈ સાંભળીને આખરે થર્ટી ફર્સ્ટના કાર્યક્રમમાટેની આપેલી પરવાનગી રદ કરવામાં આવી છે.
