જીપીસીબીની ટીમે ચેકિંગ કરતાં પ્લાન્ટમાં અનેક પ્રકારની જોખમી ક્ષતિઓ જણાઈ હતી
EDC સામે કંપની પાસેથી ૮ લાખની બેન્ક ગેરેન્ટી લેવાઈ
। ભરૂચ ।
વાલિયાની ગોદરેજ કંપનીને જીપીસીબી દ્વારા ૧૫ દિવસની મહેતલ સાથેની નોટિસ ફટકારવામાં આવી છે. તાજતેરમાં જ જીપીસીબીની ટીમે કંપનીમાં ચેકિંગ કર્યું હતું. જેમાં ઘણી ક્ષતિઓ જણાતા કંપની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત કંપની સામે EDC (એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્શેશન)ના નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી હતી. જેના બદલામાં ૮ લાખની બેન્ક ગેરેન્ટી પણ લેવામાં આવી હતી.
અંકલેશ્વર જીપીસીબીની ટીમ દ્વારા ગત ૧૦મી ડિસેમ્બરના રોજ વાલિયા પાસે આવેલી ગોદરેજ કંપનીમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અંક્લેશ્વર જીપીસીબીના આર.ઓ. ડો.જીગીષા ઓઝાએ પ્રાઉડ ઓફ ગુુજરાત સાથેની ટેલિફોનિક વાતચિતમાં જણાવ્યું હતું કે, તેમની ટીમે ચેર્કિંગ કર્યું તે વેળાં એએલએસ બેચમાંથી ઉત્પન્ન થતાં એએલએસ એસિડ ડ્રમ્સ ઉત્પાદન ક્ષેત્રની નજીક ખુલ્લા વિસ્તારમાં સંગ્રહ કરાયાં હતાં. કંપનીના સલ્ફોનેશન પ્લાન્ટ તેમજ અન્ય પ્લાન્ટની આંતરિક ગટરોમાં દુષિત ગંદુ પાણી જોવા મળ્યું હતું. ઉપરાંત એકમના તમામ આંતરિક ગટરોમાં તથા યુનિટના SWD દુષીત પાણીથી ભરેલાં જણાયાં હતાં. ઉપરાંત યુનિટના આંતરિક SWD નેટવર્કમાં અપૂરતુ જો જોવા મળી હતી. પ્લાન્ટની હાઉસકિપીંગ નબળી જણાઈ હતી. ઉપરાંત નિરીક્ષણ દરમિયાન સલ્ફોનેશન પ્લાન્ટ વિસ્તારમાં સલ્ફોનિક એસિડ ખુલ્લામાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો. તેમજ નિકાલનો રેકોર્ડ પણ જાળવવામાં આવ્યો ન હતો.
કંપની પરીસરમાં તૈયાર ઉત્પાદનથી ભરેલાં ૧૫૦૦થી વધુ ડ્રમ્સ ખુલ્લામાં સંગ્રહિત કર્યા હતાં. ઉપરાંત ક/પનીએ કાર્બનિક અવશેષો ( ગ્લિસરીન પગ) ભરેલાં ડુમ્સ પણ ખુલ્લામાં જ સંગ્રહ કર્યા હતાં. તેમજ જોખમી કચરો વિસ્તાર પુરો પાડયો છે ત્યાં જોખમી કચરાના ઉત્પાદનના જથ્થાના પ્રમાણમાં અપુરતો જોવા મળ્યો હતો. જેનાપગલે ટીમે તમામ બાબતોનો રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર કચેરીએ રિપોર્ટ મોકલ્યો હતો. જેના આધારે ૩૦મી ડિસેમ્બરે ગાંધીનગર ઉચ્ચ કચેરીએ ગોદરેજ કંપનીને તેની ક્ષતિઓમાં સુધારણા કરવાની ૧૫ દિવસની મહેતલ સાથેની નોટિસ ફટકારવામાં આવી હતી. સાથે સાથે કંપનીને EDC (એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્શેશન)ના નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી હતી. જેના બદલામાં ૮ લાખની બેન્ક ગેરેન્ટી પણ લેવામાં આવી હતી.
