ભરૂચ
ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ કરૂણા અભિયાન અંતર્ગત ઉતરાયણ પર્વની ઉજવણી દરમ્યાન પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા તેમજ સમયસર સારવાર આપવા માટે સરકારના સબંધીત વિભાગો, બિનસરકારી સંસ્થાઓ, જીવદયા ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓ, પક્ષી બચાવવા સાથે જોડાયેલ યુવાનો અને સામાન્ય પ્રજાના સહયોગથી તારીખ:-૧૦-૦૧-૨૦૨૬થી ૨૦-૦૧-૨૦૨૬ દરમ્યાન કરૂણા અભિયાન યોજવામાં આવી રહ્યું છે.
ભરૂચ જિલ્લામાં વનવિભાગ/ પશુપાલન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ૨૦ કલેક્શન સેન્ટર તેમજ ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે ૧૨ સારવાર કેન્દ્રચાલુ કરવામાં આવશે છે. જિલ્લાની ૧૦ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ તેમની ટીમ સાથે પક્ષી બચાવો અભિયાનમાં જોડાયેલ છે. ભરૂચ જિલ્લામા શહેર તેમજ તાલુકાઓમા કાર્યરત કલેક્શન સેન્ટર તેમજ સારવાર કેન્દ્રની વિગતો જિલ્લાના તમામ વિભાગો/સંસ્થાઓ /બિનસરકારી સંસ્થાઓ/ સામાન્ય પ્રજાને પ્રાપ્ત થાય તે માટે વિવિધ પ્રચારના માધ્યમોથી માહિતી આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
પર્યાવરણ સુરક્ષાધારા ૧૯૮૬ ની કલમ ૫ ની જોગવાઈ તેમજ પ્રસ્તુત બાબતે નેશનલ ગ્રીન ટ્રીબયુનલ ના ફરમાવેલ હુકમ મુજબ ચાઈનીઝ માંઝાના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. તેનો ચુસ્તપણે અમલ થાય તે માટે કલેકટરશ્રી ભરૂચના આદેશથી નગરપાલિકા, વનવિભાગ અને પોલીસ વિભાગના સહયોગથી સઘન કાર્યવાહી કરવામાં આવનાર છે.
વધુમાં ઘાયલ પક્ષીઓ જોવા મળે તો વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ કરૂણા હેલ્પલાઇન વોટ્સએપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ તથા વન વિભાગ ૨૪x૭ હેલ્પલાઇન નંબર-૧૯૨૬ અને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર-૧૯૬૨ ઉપર જાણ કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. કરૂણા અભિયાન અંતર્ગત પક્ષી નિદાન કેન્દ્રોનો સંપર્ક નંબર મેળવવા માટે QR-CODE સ્કેન કરવા અનુરોધ છે.
