ભરૂચ.
વાગરા તાલુકાના વડદલા ગામે નવી રોયલ રેસિડેન્સીમાં રહેતાં. મિત્રો તેમની બ્રેજા કાર લઇને લખીગામ તેમના મિત્રને મળવા માટે જવા નિકળ્યાં હતાં. દરમિયાનમાં જીએસીએલ ચોકડી પાસે કાર ચાલકે કાબુ ગુમાવતાં કાર સાઇડના ગટરમાં પલટી ગઇ હતી. અકસ્માતમાં ચાલકને ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણને ઇજાઓ થઇ હતી. દહેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાગરા તાલુકામાં આવેલાં વડદલા ગામે નવી રેસિડેન્સી ખાતે રહેતાં અને ચેકમેટ સિક્યુરિટી એજન્સીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતાં પ્રેમકુમાર ગૌરીશંકર ઝા તેમની નોકરી પર હતાં. તે વેળાં તેના ત્યાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતાં આસિસ્ટન્ટ મેનેજર હરિવંશસિંહ તોમરે તેમને જણાવ્યું હતું કે, કોઇ સિક્યુરિટીનું જીએસીએલ ચોકડી પાસે એક્સિડન્ટ થયું છે. જેથી તેઓ તુરંત સ્થળ પર દોડી જતાં માલુમ પડ્યું હતું કે,તેમના ત્યાં જ સિક્યુરિટી તરીકે નોકરી કરતો રોશનકુમાર ઉદયકાંન્ત ઝા ( હાલ રહે. વડદલા નવી રોયલ રેસિડન્સી, મુળ રહે. સમસ્તીપુર, બિહાર) તેમજ તેની સાથે અન્ય ત્રણ જણા હર્ષકુમાર રાઘવેન્દ્ર ઝા, અમીતકુમાર દ્રોણા ઝા તેમજ સુધાંશુકુમાર નવીન સિંઘ એમ ચાર જણા ઘવાયેલાં હતાં. જોકે, તેમણે 108ને ફોન કરતાં થોડીવારમાં એમ્બ્યુલન્સ આવતાં મેડિકલ ટીમે તપાસી જોતાં રોશનકુમારનું મોત થયાંનુ માલુમ પડ્યું હતું. તેમણે અન્ય ત્રણ જણાને અકસ્માત અંગે પુછતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ ચારેય બ્રેઝા કાર લઇને લખીગામ ખાતે રહેતાં એક મિત્રને મળવા માટે જઇ રહ્યાં હતાં. તે વેળાં રોશને જીએસીએલ ચોકડી પાસે કોઇ કારણસર સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં તેમની કાર રોડની સાઇડમાં આવેલી ગટરમાં પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
