શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે શનિવારે ચૈત્રી સમૈયાની ધામધૂમ પૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે કથાના વક્તા અને ચૈત્રી સમૈયાના યજમાન પૂ.નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ સૌ શ્રોતાજનોને દક્ષિણામાં પ્રભુને પામવા જતાં જે અડચણ રૂપ લાગે તેનો ત્યાગ કરવા જણાવ્યું હતું. જે ભક્તોને જે કોઈ વ્યસન હોય તો વ્યસનનો ત્યાગ કરવા; નિત્ય ઘરે પૂજા પાઠ કરવા, નિત્યમંદિરે દેવદર્શન કરવા જવું તેમજ સંતોના સંગમાં રહેવાની શીખ આપી હતી.
વડતાલ મંદિરના કોઠારી સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, તા.૧૦ થી ૧૬ એપ્રિલ દરમ્યાન વડતાલધામ ખાતે ચૈત્રી સમૈયાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સમૈયા અંતર્ગત વડતાલ ગોમતી કિનારે રૂા.૧૫૦ કરોડથી વધુના ખર્ચે નૂતન દિવ્ય-ભવ્ય અક્ષરભવનનું ખાતમૂર્હુત આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા સંપ્રદાયના વરિષ્ઠ સંતો તથા ૧૦૮ હરિભક્તોના શુભ હસ્તે શિલાન્યાસ વિધિ સંપન્ન થયો હતો. દરમ્યાન શનિવારે હનુમાનજયંતિના શુભદિને ચૈત્રી સમૈયાની પૂર્ણાહુતિ યોજાઈ હતી. જેમાં પૂ.સૌરભપ્રસાદજી મહારાજ(લાલજી મહારાજે) આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલધામમાં કાર્તિકી અને ચૈત્રી સમૈયા બાંધ્યા છે. જેમાં પોતાના આશ્રિતોને વણતેડે વડતાલ આવવાની આજ્ઞા કરી છે. વડતાલધામમાં શ્રીહરિએ શિક્ષાપત્રી લખન કર્યું છે; મહારાજે બે દેશની સ્થાપના કરી છે. શ્રીહરિએ સૌ ભક્તજનોને દર માસની પૂર્ણિમાએ વડતાલમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણદેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજના દર્શન કરશે તેની આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્ત કરીશું. તેઓના સકામ મનોરથો પૂર્ણ કરીશું તેવા આશીષ આપ્યા હતા. સૌ ભક્તજનોને શ્રીહરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ સહિત આદિ દેવોમાં નિષ્ઠા રાખવાની શીખ આપી હતી.
આ પ્રસંગે સંપ્રદાયના નવયુવાન સંતો, તથા યજમાન પરિવારના સભ્યો તથા હરિભક્તોએ પૂર્ણાહુતિની આરતી ઉતારી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ.શ્યામવલ્લભ સ્વામી, રઘુનંદન સ્વામીએ કર્યું હતું.
નરેશ ગનવાણી : નડિયાદ