Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપલા ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ૧.૫૮ કરોડના કેશ ક્રેડિટ લાભોનું કરાયું વિતરણ.

Share

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ઉપલક્ષમાં દિનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના (એન.આર.એલ.એમ.) અંતર્ગત સ્વસહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ વિતરણનો કાર્યક્રમ તા.૨૮ મી જૂન,૨૦૨૨ ના રોજ રાજપીપલાના સરદાર ટાઉનહોલ ખાતે ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમને દંડક કટારાના હસ્તેદિપ પ્રાગટ્ય થકી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આજે ૨૦ સખીમંડળોને સ્થળ પર ૨૮ લાખના ચેકોની પ્રતિકૃતિનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષપદેથી વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ પ્રસંગોચિત ઉદબોધનમાં સ્ત્રી સશક્તિકરણ માટે શરૂ કરાયેલી મિશન મંગલમ યોજનાનો હેતુ દર્શાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યકાળમાં ગરીબો-વંચિતો અને ખાસ કરીને મહિલાઓના વિકાસ માટે વર્ષ ૨૦૧૧ થી મિશન મંગલમ યોજના શરૂ કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોનું જીવનધોરણ ઉંચુ લાવવાનો છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં હાલમાં ૪૬૯૫ જેટલાં સ્વ-સહાય જૂથો કાર્યરત છે. તેમના વિકાસ માટે સરકાર દ્વારા રિવોલ્વિંગ ફંડની વ્યવસ્થા કરવામાં આવી છે. તેના થકી અને મહિલા મંડળની બહેનોએ એકત્ર કરેલી બચતમાંથી આંતરિક ધિરાણ કરી સખી મંડળની બહેનો આજે પગભર થઈ રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ૧૫૮ જેટલા જૂથોને કુલ રૂપિયા ૧.૫૮ કરોડ જેટલી માતબર રકમની વ્યાજ વગરની લોન મંજૂર કરી તેમને ચૂકવવામાં આવી છે. ત્યારે આ સહાય મેળવ્યા પછી સ્વ-સહાય જૂથો વધુ સશક્ત બને, મહિલાઓ તેમના બાળકોના શિક્ષણમાં સતત આગળ વધે અને સરકારની યોજનાઓ વિશે અન્ય મહિલાઓને પણ સમજ આપી દેશના વિકાસમાં સહભાગી બને તે દિશામાં આગળ વધવા આશાવાદ વ્યક્ત કર્યો હતો.

કેશ ક્રેડિટ કેમ્પમાં ઉપસ્થિત રહેલા સાગબારા તાલુકાના પાંચપીપરી ગામના નવજાગૃતિ મહિલા વિકાસ મંડળના ઉષાબેન દિનેશભાઈ વસાવાએ તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, અમારા સખી મંડળની રચના નહોતી થઈ તે પહેલાં બહેનોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. બાળકોના અભ્યાસ, ખેતીવાડી, ખાતર – બિયારણ માટે વ્યાજે પૈસા લેવા પડતા હતા. ત્યારબાદ અમારા સખી મંડળની રચના થઈ. શરૂઆતમાં ૧૦ રૂપિયાથી બહેનોએ બચત કરવાની શરૂઆત કરી. તેમાં એકત્ર થયેલી રકમમાંથી અમે આંતરિક ધિરાણ કરી બહેનોની આર્થિક જરૂરિયાત પુરી કરવા લાગ્યા હતા. ત્યારબાદ અમે બેન્ક લોન પણ મેળવતા થયા અને તેના ધિરાણમાંથી આવતી વ્યાજની રકમ પણ જૂથના ખાતામાં જ જમા રહેતા સખી મંડળની બહેનો આર્થિક રીતે પગભર થઈ છે. પ્રસંગોપાત નાણાંકીય જરૂરિયાત સંતોષવા માટે બહેનોને આજે બીજા પાસે હાથ લંબાવવાની જરૂર પડતી નથી.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં વૈદિક હોળી પ્રગટી

ProudOfGujarat

ટ્રાફિક પોલીસએ ખોવાયેલ ફોન તેના માલિકને પરત કર્યો

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા વિરોધ પક્ષની રજૂઆત છતાં ભરૂચ ડુંગરી વિસ્તારની પાણીની ટાંકી ન ઉતારતા આખરે આ ટાંકી ધરાશાયી થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!