ભરૂચ શહેરના દાંડિયાબજાર સુથિયાપુરા વિસ્તારમાં બનેલી ઘટના
। ભરૂચ ।
ભરૂચ શહેરના દાંડિયાબજાર સુથિયાપુરા વિસ્તારમાં રહેતો માનસ ઉર્ફે માનવ નિરાકરણભાઈ તરાઈ રીક્ષા ચલાવી તેની પત્ની તેમજ બે સંતાનોનું ભરણપોષણ કરે છે.ગત ગુરુવારે સાંજના સમયે તે રીક્ષા ચલાવીને ઘરે આવી બેઠો હતો. તે વેળાં તેમના ફળિયામાં જ રહેતો મીત રાણા કે જે છેલ્લા ઘણા સમયથી તેમની પત્નીને ફોન કરી હેરાનગતિ કરતો હતો. જેથી તેમણે મીતને મળી તેમની પત્ની સાથે હવે વાતચીત ન કરતો તેમ કહી તેને સમજાવ્યો હતો. જોકે, તે બાદ પણ મીત તેમની પત્નીને ફોન કરીને સતામણી કરવાનું જારી રાખ્યું હતું જેના પગલે તેમણે મીતના ઘરે જઈને મીતની માતા જૈની રાણાને મળી તેમને કહેવા ગયાં હતાં.
તેમણે તેમને જણાવ્યું કે તમારા દિકરાને સમજાવો તે ફરીથી મારી પત્નીને ફોન કરી હેરાન કરે છે. જેના પગલે મીતની માતાએ તેના પુત્રને સમજાવાને બદલે માનસ ઉર્ફે માનવને જ ધમકાવી કહેવા લાગી હતી કે, તારાથી થાય તે કરી લે તેમ કહીં બોલાચાલી કરી અપશબ્દો ઉચ્ચારવા લાગી હતી. અરસામાં ત્યાં હાજર બિટ્ટુ રાણા તેમજ જૈનીની પુત્રીએ પણ ઉપરાણું લઈ તેના પર હુમલો કર્યો હતો. મીત પણ ત્યાં આવી જતાં ચારેયે મળી માનવ ઉર્ફે માનસને લાકડીના સપાટા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદનોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
