ભરૂચ: શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત શ્રી શનિદેવ મંદિર અને ભ્રુગુઋષિ મંદિર ખાતે આગામી તા. ૧૬ મે ૨૦૨૬, શનિવારના રોજ વૈશાખ વદ અમાસ નિમિત્તે શનિદેવ જન્મોત્સવની આસ્થાભેર અને ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મંદિર પરિસરમાં જન્મોત્સવને લઈ ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
આ પાવન અવસરે ભક્તો માટે શનિદેવના દર્શનનો સમય સવારે ૬:૦૦ વાગ્યાથી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. ઉત્સવ દરમિયાન સવારે ૬:૩૦ વાગ્યે મંગળા આરતી, બપોરે ૧૨:૦૦ વાગ્યે મધ્યાહન આરતી તેમજ સાંજે ૭:૦૦ વાગ્યે સંધ્યા આરતી યોજાશે.
જન્મોત્સવના મુખ્ય આકર્ષણ રૂપે બપોરે ૩:૦૦ થી ૬:૦૦ વાગ્યા દરમિયાન વિશેષ ‘શનિયાગ’ હોમ-હવનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ધાર્મિક કાર્યક્રમોની સાથે ભક્તો માટે સવારે અલ્પાહાર અને પંચામૃત પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે સાંજે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેર તથા આસપાસના તમામ ધર્મપ્રેમી નાગરિકોને શનિ જન્મોત્સવમાં સહભાગી બની દર્શન અને પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
