ભરૂચ
ભરૂચ જિલ્લામાં આવેલી ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ નગરપાલિકાની પાંચ વર્ષની મુદત ૧૦ માર્ચે પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા તમામ પાલિકાઓમાં વહિવટદારોની નિમણૂંક કરવામાં આવી છે. ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર નગરપાલિકામાં પ્રાંત અધિકારીને જ્યારે આમોદ નગરપાલિકામાં મામલતદારને વહિવટદાર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના આદેશ મુજબ નગરપાલિકા અધિનિયમની કલમ–૮ હેઠળ ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ નવી કારોબારી સમિતિ રચાય ત્યાં સુધી પાલિકાની વહીવટી કામગીરી યથાવત્ રહે તે માટે વહિવટદારોની નિમણૂંક કરવામાં આવી છે. આપ પ્રાઉડ ઓફ ગુજરાત ન્યૂઝ પોર્ટલ પર સમાચાર વાંચી રહ્યાં છો. વહિવટદારો નગરપાલિકાની રોજિંદી કામગીરી જેમ કે પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ, અગ્નિશમન સેવા અને સફાઈ જેવી આવશ્યક સેવાઓનું સંચાલન કરશે. જોકે, વહિવટદાર તરીકેના કાર્યકાળ દરમિયાન કોઈ નીતિગત મોટા નિર્ણયો લઈ શકશે નહીં.
જિલ્લાની પાલિકાઓના વર્ગીકરણ મુજબ ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર નગરપાલિકામાં પ્રાંત અધિકારીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, જ્યારે આમોદ નગરપાલિકામાં મામલતદારને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
