નર્મદા :
ડેડીયાપાડા તાલુકાના થવા–ગારદા–ભૂતબેડા રૂટ પર વર્ષોથી બસ સેવા શરૂ કરવાની માંગ છતાં આજે પણ ગ્રામજનો અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે અનેક રજૂઆતો અને રાજ્યમંત્રીના કાર્યાલય તરફથી સૂચના અપાયા બાદ પણ GSRTC દ્વારા બસ સેવા શરૂ કરવામાં આવી ન હોવાનું સ્થાનિકોમાં રોષનું કારણ બન્યું છે.
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના પ્રમુખ સર્જન એસ. વસાવાએ 16 માર્ચ, 2026ના રોજ બસ સેવા શરૂ કરવા રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે બસ સુવિધાના અભાવે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડી રહી છે તેમજ ગ્રામજનોને રોજિંદી અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
રજૂઆત બાદ 17 માર્ચ, 2026ના રોજ ડેડીયાપાડાના પ્રાંત અધિકારીએ GSRTCને નિયમ મુજબ જરૂરી કાર્યવાહી કરવા લેખિત સૂચના પાઠવી હતી. ત્યારબાદ રાજ્ય સરકારના રાજ્યમંત્રીના કાર્યાલયે પણ 6 એપ્રિલ, 2026ના રોજ GSRTCના સચિવને પત્ર લખી નિયમ મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
સ્થાનિકોનો આક્ષેપ છે કે રાજ્યમંત્રીના કાર્યાલયની સૂચના બાદ પણ રૂટ પર બસ સેવા શરૂ કરવામાં કોઈ પ્રગતિ થઈ નથી. જેના કારણે થવા, ગારદા, ભૂતબેડા સહિતના ગામોના વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને ગ્રામજનોને ખાનગી વાહનો અથવા અન્ય મર્યાદિત સાધનો પર નિર્ભર રહેવું પડે છે.
ગ્રામજનોએ તાત્કાલિક બસ સેવા શરૂ કરવાની માંગ પુનરોચ્ચાર કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો વહેલી તકે બસ સેવા શરૂ નહીં કરવામાં આવે તો લોક આંદોલન અને ઉગ્ર વિરોધનો માર્ગ અપનાવવામાં આવશે.
