ભરૂચ:
વાલિયા તાલુકાના ઘોડા ગામ ખાતે પ્રસ્તાવિત KP Group Solar Energy Project સામે અનુસૂચિત વિસ્તારના આદિવાસી ખેડૂતોના હકો, PESA Act, પાંચમી અનુસૂચિ તેમજ ખેડૂતોની સિંચાઈ વ્યવસ્થાને લગતા મુદ્દાઓ અંગે કરવામાં આવેલી રજૂઆતને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે.
આયોગના પ્રાદેશિક કાર્યાલય, જયપુરે 23 જૂન, 2026ના રોજ જિલ્લા કલેક્ટર, ભરૂચને પત્ર પાઠવી જણાવ્યું છે કે અગાઉ 7 નવેમ્બર, 2025ના રોજ પાઠવાયેલી નોટિસ છતાં આજદિન સુધી હકીકત આધારિત અહેવાલ અને જરૂરી ટિપ્પણીઓ પ્રાપ્ત થઈ નથી. તેથી 15 દિવસની અંદર સંપૂર્ણ અહેવાલ તથા સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
આયોગે સ્પષ્ટ કર્યું છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં જવાબ પ્રાપ્ત નહીં થાય તો ભારતના બંધારણના અનુચ્છેદ 338A(8) હેઠળ જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.
આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ જણાવ્યું કે આ માત્ર સ્થાનિક મુદ્દો નથી, પરંતુ અનુસૂચિત વિસ્તારના આદિવાસી સમાજના બંધારણીય અધિકારો અને ખેડૂતોના જીવનોપાર્જન સાથે જોડાયેલો મહત્વનો પ્રશ્ન છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગ્રામસભાની સંમતિ, PESA Act તથા અન્ય કાયદાકીય જોગવાઈઓનું પાલન કર્યા વિના કોઈપણ પ્રોજેક્ટ આગળ વધવો જોઈએ નહીં.
તેમણે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રને અપીલ કરી છે કે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના નિર્દેશનું તાત્કાલિક પાલન કરી સંપૂર્ણ હકીકત આધારિત અહેવાલ રજૂ કરવામાં આવે તેમજ કાયદેસરની તમામ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રોજેક્ટ સંબંધિત દરેક કાર્યવાહી સંપૂર્ણ પારદર્શિતા સાથે કરવામાં આવે.
