ભરૂચ : નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટી (NALSA)ના આદેશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ શનિવારે ભરૂચ જિલ્લાના ન્યાયાલયોમાં વર્ષ 2026ની બીજી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને નેશનલ લોક અદાલતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તમામ ન્યાયાધીશો, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરા લીગલ વોલન્ટિયર્સ, પેનલ એડવોકેટ્સ તેમજ મોટી સંખ્યામાં પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા.
લોક અદાલતમાં પ્રિ-લિટિગેશન એટલે કે કોર્ટમાં કેસ દાખલ થાય તે પહેલાં સમાધાન માટે રજૂ થતા કેસો ઉપરાંત લાંબા સમયથી પેન્ડિંગ વિવિધ કેસો સમાધાન માટે મુકવામાં આવ્યા હતા. જેમાં મોટર અકસ્માત વળતર કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળના ચેક રિટર્ન કેસો, પારિવારિક વિવાદો, ભરણપોષણના કેસો, સમાધાનપાત્ર ફોજદારી કેસો, લેણાના દાવા, ભાગલા સંબંધિત દાવાઓ અને મજૂર તકરાર સહિતના કેસોનો સમાવેશ થયો હતો.
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ તાબાની તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિઓ દ્વારા ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, વાગરા, આમોદ, જંબુસર અને હાંસોટ ખાતે પણ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ પક્ષકારો વચ્ચે પરસ્પર સમજૂતી અને સમાધાન દ્વારા વિવાદોનો ઝડપી તથા સુખદ ઉકેલ લાવી સમય અને ખર્ચની બચત કરવાનો છે.
