ભરૂચ : ભરૂચ શહેરના કોર્ટથી ભૃગુઋષિ બ્રિજ તરફ જતા મુખ્ય માર્ગ પર અચાનક ભુવો પડતાં વાહનચાલકોમાં ચિંતા સાથે દોડધામનો માહોલ સર્જાયો હતો. શહેરના મહત્વપૂર્ણ ગણાતા આ માર્ગ પર જૂની મામલતદાર કચેરી સામે નર્મદા એપાર્ટમેન્ટ તરફ જવાના રસ્તા પર ભુવો પડ્યો હોવાનું સામે આવ્યું છે.
મુખ્ય માર્ગ પર અચાનક ભુવો પડતાં વાહનવ્યવહાર માટે જોખમી સ્થિતિ સર્જાઈ હતી. જોકે સમયસર ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.
પાલિકા તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને ભુવાને પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી. જોકે શહેરના વ્યસ્ત અને મુખ્ય માર્ગ પર અચાનક ભુવો પડવાની ઘટનાએ માર્ગની સ્થિતિ અને ભૂગર્ભ સુવિધાઓ અંગે સવાલો ઊભા કર્યા છે.
