ભરૂચ.
વાગરા તાલુકાના સુવા ગામના લોકોએ ગૌચરમાં પાડી દીધેલા ઓપાલના માર્ગને લઈ 4 કલાક સુધી રસ્તા રોકો આંદોલન છેડયું હતું. દહેજની ઓપલ કંપનીના કર્મચારીએ બુધવારે રાતે દહેજ પોલીસને ફોન કર્યો હતો. સુવા ગામે સીંગનાથ મહાદેવ મંદિર નજીક ઓપલ કંપની તરફ જતાં જાહેર રોડ ઉપર સુવા ગામના કેટલાક લોકોનું ટોળુ ભેગુ થયું હતું. રસ્તો રોકી બળપૂર્વક વાહનોને રોકી અવરજવર અટકાવી હતી. મેસેજ મળતા જ દહેજ પોલીસનો કાફલો તાત્કાલિક સુવા ગામે સ્થળ પર પહોંચ્યો હતો.
કંપનીમાં જતા રસ્તા પર ટોળું ભેગું વળ્યું હતું. ઉપસરપંચ રાજેશ ગોહિલ, પ્રતીક ગોહિલ, કાળીદાસ પાણીપુરીવાળા, મેહુલ ગોહિલ, ભાવીન ગોહીલ, જયદીપ ગોહીલ સહિતના વિરોધ પ્રદર્શનમાં ટોળા સાથે હતા. આગેવાનો સાથે સુવા ગામના આશરે 30 થી 40 જેટલા લોકો રસ્તા ઉપર બેસી વાહન વ્યવહાર બંધ કરી દીધો હતો. આ રસ્તો સુવા ગામના ગૌચરની જમીન ઉપર બનાવેલ હોય કંપનીના વાહનો ચાલવા નહિ દઇએ ના વિરોધ સાથે આંદોલન ચાલુ રાખ્યું હતું. પોલીસે રસ્તો રોકવાની ના પાડતા પોલીસ સાથે ઘર્ષણ, ઝપાઝપી અને ધક્કામુક્કી કરી, ટોળાએ 17 જેટલા વાહનો માર્ગ પર આડા મૂકી દીધા હતા.
અંતે દહેજ પોલીસે ટોળાને વિખેરવા અને માર્ગ ખુલ્લો કરવા ન છૂટકે બળ પ્રયોગ કરવાની ફરજ પડતા નાસભાગ મચી હતી. ટોળું માર્ગ પર જ 17 વાહનો મૂકી નાસી છૂટ્યું હતું. દહેજ પોલીસે ગેરકાયદે 4 કલાક સુધી રસ્તાને બાનમાં લેવા, પોલીસ સાથે ઘર્ષણ બદલ 47 જેટલા લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો હતો.
