વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે બનેલી ઘટના
ભરૂચ.
નેત્રંગ તાલુકાના યાલ ગામે નિશાળ ફળિયામાં વતની સરદાર મણીલાલ વસાવા અંક્લેશ્વરના ભડકોદ્રા ગામે રહે છે. અને દહેજની એક કંપનીમાં નોકરી કરે છે. શનિવારે રક્ષાબંધનનો તહેવાર હોવાથી તેઓ તેમની પત્ની તેમજ 6 વર્ષના પુત્ર અંશ સાથે યાલ તેમના ગામ જવા માટે નિકળ્યાં હતાં. તેઓ કોંઢ ગામ પાસેથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં એસ. એમ. બદાત હાઇસ્કૂલની હોસ્ટેલ સામેથી નંબર પ્લેટ વિનાની એક બાઇકના ચાલકે ધસી આવી તેમની બાઇકને ટક્કર મારતાં દંપતિ અને તેમનો 6 વર્ષનો પુત્ર રોડ પર પટકાયાં હતાં. જેના કારણે ત્રણેયને ગંભીર ઇજાઓ થઇ હતી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી અંક્લેશ્વરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. દરમિયાનમાં તેમને અકસ્માત સર્જનાર શખ્સ અંગે લોકોએ તપાસ કરતાં તેનું નામ અજીતજી વાઘજીજી ઠાકોર હોવાનું અને તે નલધરી ખાતે રહેતો હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે તેમણે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરીછે.
