ભરૂચ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લેવાયેલા લોકકલ્યાણકારી અને છેવાડાના માનવીને લાભકારી નિર્ણયો બદલ આભાર વ્યક્ત કરવા માટે ભરૂચ જિલ્લાના સમસ્ત સહકારી ક્ષેત્ર દ્વારા પોસ્ટકાર્ડ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં થઈ ચૂક્યો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓના સભ્યો, ખેડૂતો અને પશુપાલકો દ્વારા વડાપ્રધાનશ્રીને સામૂહિક રીતે આભાર પત્રો મોકલવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં સહકારી ક્ષેત્રે થયેલા વિકાસથી ખેડૂતો અને પશુપાલકો સમૃદ્ધ બની રહ્યા છે. સહકારી ક્ષેત્રને સમૃદ્ધ બનાવવા બદલ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના શક્કપોર અને સજોદની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ ઉત્સાહભેર લખ્યા હતા.
તાજેતરમાં સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયોના સીધા પ્રતિસાદ રૂપે, મહાઅભિયાનમાં ભરૂચ જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓના હોદ્દેદારો, સભ્યો, ખેડૂતો, પશુપાલકો તેમજ તેમના પરિવારજનો ખૂબ ઉત્સાહ સાથે જોડાયા છે. આ પહેલ દ્વારા નાગરિકો સરકારના કલ્યાણકારી કાર્યો પ્રત્યે પોતાનો સકારાત્મક પ્રતિભાવ રજૂ કરી રહ્યા છે. આભાર વ્યક્ત કરવાની સાથે સાથે, સહકારી સભ્યો દ્વારા પોસ્ટકાર્ડ્સ પર “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” જેવા રાષ્ટ્રપ્રેમી સૂત્રોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ સૂત્રો દ્વારા ભારતના નાગરિકો સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પ્રત્યે વધુ જાગૃત થાય અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપે તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ, આ અભિયાન આભાર વ્યક્ત કરવાની સાથોસાથ રાષ્ટ્રીય જાગૃતિ ફેલાવવાનું માધ્યમ પણ બની રહ્યું છે.
