મોબાઈલમાં વોટ્સએપ પર એક ગ્રુપમાં એડ કરી ગઠિયાઓએ ભોળવ્યાં
ભરૂચ.
ભરૂચ શહેરના લિકરોડ પર આવેલી અર્બુદા નગર સોસાયટીમાં રહેતાં અને મુળ અમદાવાદના વતની મિતેષ પ્રજાપતિ એચડીએફસી લિંકરોડ શાખામાં એડમીન મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમના મોબાઈલ નંબરને કાયા શર્મા નામની કોઈ મહિલાએ વોટ્સ એપના એક ગ્રુપમાં એડ કર્યો હતો. જેમાં સ્ટોક માર્કેટમાં સારૂ વળતર મળવાની લાલચ આપી હતી. જેમાં તેમની પાસે એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં શેરબજારને લઈને ટીપ્સ આપવામાં આવશે તેમ જણાવાતાં તેમણે તેમને જે જે પ્રકારે કહેવામાં આવે તેમ તેમ તેઓ કરતાં ગયાં. બાદમાં ઓક્ટોબરથી નવેમ્બર એક મહિનામાં અલગઅલગ સ્ટોકમાં રોકાણ કરવાના બહાને અલગ અલગ પ એકાઉન્ટ તેમજ યુપીઆઈ આઈડી પર અલગ અલગ સમયે કુલ ૧૧.૦૩ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જે પૈકીના નફા સહિતના બહાને તેમને કુલ ૫૦ હજાર પરત કરાયાં હતાં. બાદમાં તેમણે તેમના બાકીના ૧૦.૫૩ લાખ રુપિયા પરત મેળવવા માટેના પ્રયાસ કરતાં તેમની પાસે વધુને વધુ રૂપિયાની માંગણી કરાઈ હતી. જેના પગલે તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતાં તેમણે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
