ભરૂચ
૯૭ વર્ષ જૂની પ્રતિષ્ઠિત સંસ્થા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા અનુકંપા પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ ૨૦૨૫ માટે શ્રી રામ આશ્રમ શાળા, ડેડીયાપાડાની પસંદગી કરવામાં આવી છે. પર્યુષણ પર્વ દરમિયાન દર વર્ષે ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આવેલી કોઈ એક સંસ્થાને આર્થિક સહાય પૂરી પાડવાની પરંપરા મુજબ આ વર્ષે ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ડેડીયાપાડાની આ શાળાને સહાય ફાળવવામાં આવી છે.
સંસ્થા છેલ્લા ૪૦ વર્ષથી સતત આ સેવા કાર્ય કરી રહી છે અને આ સમયગાળા દરમિયાન અંદાજિત ૭ કરોડ રૂપિયા જેટલી રકમ વિવિધ સંસ્થાઓના વિકાસ માટે ફાળવી ચૂકી છે. સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ શાહ (સી.એ.)ના વિઝન મુજબ ફક્ત આર્થિક સહાય જ નહીં પરંતુ શૈક્ષણિક અને મૂલ્યવર્ધક વિકાસ થાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવે છે.
ડેડીયાપાડા વિસ્તારમાં આવેલી રામ આશ્રમ શાળા ખૂબ અંતરિયાળ વિસ્તારમાં આવેલી હોવાથી આજ સુધી વિશેષ દાનરકમથી વંચિત રહી હતી. તેવા સંજોગોમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘે આ સંસ્થા સુધી પહોંચી કુલ રૂ. ૪૧,૧૧,૦૦૦/- (એકતાલીસ લાખ અગિયાર હજાર)ની સહાય ફાળવી છે. આ રકમમાંથી શાળામાં કમ્પ્યુટર ખંડ, કૌશલ્ય વિકાસ ખંડ, નવા વર્ગખંડ તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે વાડ બાંધકામ સહિતના વિકાસકાર્યો હાથ ધરાશે.
આવતી કાલે સવારે ૧૦:૩૦ વાગ્યે ચેક અર્પણ વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ શાહ તથા તેમની પત્ની ભદ્રાબેન શાહ, સેક્રેટરી સેજલબેન શાહ અને તેમના પતિ મનીષભાઈ શાહ, ઉપપ્રમુખ બકુલભાઈ ગાંધી તથા તેમની પત્ની રેખાબેન ગાંધી, વડીલ અને કાર્યનિષ્ઠ કમિટી સભ્ય હસમુખભાઈ શાહ તથા તેમની પત્ની કલ્પાબેન શાહ તેમજ કાર્યરત સભ્યો શાંતિલાલ ગોસર અને કિરણભાઈ શેઠ ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને ચેક અર્પણ સાથે તેમની રોજિંદી જરૂરિયાત માટે શૈક્ષણિક બેગ, ટુવાલ વગેરે સામગ્રીનું પણ વિતરણ કરવામાં આવશે. સંસ્થા દ્વારા વર્ષોથી દાનનો પ્રવાહ જાળવી રાખી, યોગ્ય અને સુકૃત સ્થળે સહાય પહોંચાડવાનો સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
