ભરૂચ ખાતે યદવ (અહિર) સમાજ સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યાદવજી કી લવ સ્ટોરી ફિલ્મના વિરોધમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સંઘના પ્રતિનિધિઓએ રજૂઆત કરી હતી કે તાજેતરમાં રિલીઝ થયેલી યાદવજી કી લવ સ્ટોરી ફિલ્મમાં સમાજની લાગણી દુભાય તેવી રજૂઆત કરવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. ફિલ્મમાં યાદવ સમુદાયથ પુત્રીઓને એક મુસ્લીમ યુવક સાથે પ્રેમ સંબંધ દર્શાવવામાં આવ્યો છે. જે સ્પષ્ટ રીતે લવ જેહાદના મુદ્દાને પ્રોત્સાહન આપતું હોય તેમ લાગી રહ્યું છે. ફિલ્મનું નામ અને તેની વાર્તામાં ઇરાદાપુર્વક યાદવ સમુદાયને લક્ષ્ય બનાવી યાદવ સમાજની છબીને કલંકીત કરવાનું કૃત્ય કરાયું છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે ફિલ્મમાં દર્શાવાયેલા કેટલાક દૃશ્યો અને સંવાદો સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. સંઘે આ મુદ્દે ગંભીર વાંધો ઉઠાવી ફિલ્મ સામે તપાસ હાથ ધરવા તેમજ જરૂરી હોય તો ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. ઉપરાંત ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક તેમજ સંબંધિત લોકો સામે યોગ્ય કાનુની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી.
યદવ (અહિર) સમાજ સંઘના આગેવાનોના જણાવ્યા અનુસાર, સમાજ હંમેશાં શાંતિ અને સૌહાર્દ જાળવવાનો પ્રયાસ કરે છે, પરંતુ સમાજના ઈતિહાસ, પરંપરા અને આસ્થાને આઘાત પહોંચાડતી બાબતો સહન કરવામાં નહીં આવે. આ રજૂઆત ભરૂચ જિલ્લા કલેક્ટરને સંબોધીને કરવામાં આવી હતી અને યોગ્ય કાનૂની કાર્યવાહ કરવા વિનંતી કરવામાં આવી છે. સમાજ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવી શકે છે.
હાલ જિલ્લા પ્રશાસન દ્વારા આવેદનપત્ર સ્વીકારી મામલે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
