ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે હોળી-ધુળેટી અને રમઝાન માસના પવિત્ર પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તેમજ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવા સહિત પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. તેમણે તહેવારો દરમિયાન અફવાઓથી દૂર રહેવા, સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી ન ફેલાવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તરત પોલીસને જાણ કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ પરસ્પર એકતા, ભાઈચારો અને કોમી એકલાસ જાળવી રાખી તહેવારોની ઉજવણી કરવા માટે સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.
પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સન્માનના માહોલમાં તહેવારો ઉજવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
