ભરૂચ : રાજ્ય સરકાર દ્વારા લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે હેતુથી દર મહિને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. તે અનુસંધાને માર્ચ–૨૦૨૬ માસમાં તા.૨૪ માર્ચે તાલુકા સ્વાગત કાર્યક્રમ અને તા.૨૫ માર્ચે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાવાનો છે.
અરજદારો પોતાની ફરિયાદો દર મહિનાની ૧ થી ૧૦ તારીખ વચ્ચે ઓનલાઈન https://swagat.gujarat.gov.in પોર્ટલ પર નોંધાવી શકશે. ઉપરાંત અરજદારો પોતાની રજૂઆતો રૂબરૂ અથવા ટપાલ દ્વારા કલેક્ટર કચેરી ખાતે બે નકલમાં મોકલી પણ શકે છે. અરજીમાં “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” એવો ઉલ્લેખ કરી સુવાચ્ય અક્ષરોમાં ફુલસ્કેપ કાગળ પર લખવી તથા પોતાનો મોબાઈલ અથવા ટેલિફોન નંબર દર્શાવવો ફરજિયાત રહેશે.
૨૪ માર્ચના રોજ સવારે ૧૧ વાગ્યે ભરૂચ જિલ્લા કલેક્ટર જંબુસર તાલુકાની મામલતદાર કચેરી ખાતે હાજર રહી અરજદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળી તેનું નિરાકરણ લાવશે. જિલ્લા વિકાસ અધિકારી નેત્રંગ તાલુકામાં તથા જિલ્લા પોલીસ અધિક્ષક હાંસોટ તાલુકામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોને સાંભળશે.
તે ઉપરાંત ભરૂચ (શહેર) તાલુકામાં જિલ્લા પુરવઠા અધિકારી, અંકલેશ્વર તાલુકામાં નાયબ કલેક્ટર, ભરૂચ (ગ્રામ્ય) તાલુકામાં જિલ્લા આયોજન અધિકારી, વાલિયા તાલુકામાં નાયબ કલેક્ટર, આમોદ તાલુકામાં નાયબ કલેક્ટર, વાગરા તાલુકામાં નાયબ કલેક્ટર તેમજ ઝઘડીયા તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) સંબંધિત મામલતદાર કચેરીઓ ખાતે હાજર રહી અરજદારોની ફરિયાદોનું નિરાકરણ લાવશે.
જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યું છે કે અગાઉ સંબંધિત વિભાગમાં અરજી કરેલ હોવા છતાં નિકાલ ન થયો હોય અને તાલુકા કક્ષાના કાર્યક્રમમાં પણ પ્રશ્ન ઉકેલાયો ન હોય તેવી અરજીઓ જ સ્વીકારવામાં આવશે. જ્યારે કોર્ટ કેસ, નોકરી, પેન્શન તથા પ્રથમ વખતની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
