૩ લાખની સામે છૂટકછુટક ૧૭.૮૫ લાખ ચુકવ્યાં છતાં ૩ લાખની મુદ્દલ બાકી
પહેલાં ૫ ટકા વ્યાજે રૂપિયા આપ્યાં બાદમાં ૧૦ ટકા લેખે ઉઘરાણી કરી
ભરૂચp
ભરૂચના તુલસીધામ પાસે કપડાનો ધંધો કરતાં વેપારીએ એક વ્યાજખોર પાસેથી ધંધાર્થે ૩ લાખ લીધાં હતાં. જેની સામે તેણે તબક્કાવાર રીતે કુલ ૧૭.૮૫ લાખ ચુકવી દીધાં હોવા છતાં ૩ લાખની મુદ્દલ ભાકી હોવાનું જણાવી દુકાનમાં આવી વેપારી સાથે મારઝુડ કરી હતી. જેનો વિડીયો વાયરલ થયો હતો. દરમિયાનમાં પોલીસે વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
મુળ રાજસ્થાનના બાલોતરાનો વતની અને હાલમાં તુલસીધામ શાક માર્કેટ પાસે આવેલાં પ્રભાત બંગ્લોઝ ખાતે રહેતાં દિલીપ ઓમપ્રકાશ સુધાર તુલસીધામ ત્રણ રસ્તા પાસે ચિત્રકુટ કોમ્પલેક્ષમાં કિડ્ઝી નામની બાળકોના કપડાની દુકાન છેલ્લાં આઠેક વર્ષથી ચલાવે છે. ગત ૧૩મી માર્ચના રોજ એક વ્યાજખોર અજય શાહે તેમની દુકાનમાં આવી તેમને રૂપિયાની લેતીદેતીમાં માર માર્યો હોવાનો વિડિયો વાયરલ થયો હતો.
જે અંગે તેમણે ફરિયાદમાં નોંધાવ્યું હતું કે, ૨૦૨૨માં અજય શાહ તેમની દુકાને આવ્યો હતો તેમજ તે વ્યાજનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું. દરમિયાનમાં ૨૦૨૪માં દિલીપને ધંધાર્થે રૂપિયાની જરૂર પડતા તેણે ૫ ટકા વ્યાજથી ૩ લાખ રૂપિયા ઉછીના લીધાં હતાં. જેના બદલામાં તેણે ૩ કોરા ચેક પણ આપ્યાં હતાં. જોકે, તેનો લખાણ-કરાર કર્યો ન હતો. જે બાદ તેઓએ જાન્યુઆરી ૨૦૨૪થી મે ૨૦૨૪ સુધી દર મહિને ૪૫ હજાર ચુકવતાં હતાં. જે પૈકી ૩૦ હજાર મુદ્દલના જયારે ૧૫ હજાર વ્યાજના જમા થતાં હતાં. જોકે, બાદમાં જૂન મહિનામાં અજય શાહે તેને અચાનક મારા ૩ લાખ પરત આપી દે નહી તો ૧૦ ટકા વ્યાજ લાવ તેમ કહી તેમની પાસેથી પેનલ્ટીના રુપિયા ૫૫ હજાર લેખે ૯.૬૦ લાખ વસુલ્યા હતાં.
જે બાદ પણ અવાર નવાર આવી તેમની પાસેથી બળજબરીથી રોજના ૫ હજાર લેખે ૧૦.૫૦ લાખ લઈ ગયો હતો. દરમિયાનમાં ગત ૧૩મીએ તેણે દુકાને આવી મારા રૂપિયા આપી દે તેમ કહી તેમને માર મારી ગલ્લામાંથી જબરજસ્તીથી રુપિયા લઈ લીધા હતાં. તેમજ જો તું મારા ત્રણ લાખ રૂપિયા નહીં આપે તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ પણ આપી હતી. આખરે તેમણે એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
