એએસપી યજ્ઞેશ ઈજનેરના માર્ગદર્શન હેઠળ 132 પુસ્તકોના સેટ વિતરણ, ગ્રાઉન્ડ પાસ ઉમેદવારોને સહાય
વાંકલ :
માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે આવેલી શાંતિ નિકેતન સ્કૂલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા પુસ્તકોનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સુરત ગ્રામ્યના મદદનીશ પોલીસ અધિક્ષક યજ્ઞેશ ઈજનેરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઝંખવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના એવા ઉમેદવારોને 132 પુસ્તકોના સેટ વિતરણ કરવામાં આવ્યા હતા, જેઓ પોલીસ ભરતીમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષામાં ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કરી આગળની લેખિત પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે.
ડી.વાય.એસ.પી. બી.કે. વનારના સૂચન મુજબ યોજાયેલા આ કાર્યક્રમમાં ઝંખવાવ પોલીસ ઈન્સ્પેક્ટર જાડેજા, ઝંખવાવના સરપંચ ઉમેદભાઈ ચૌધરી, પંકજભાઈ તેમજ શાળાના આચાર્યના હસ્તે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધિકારીઓએ વિદ્યાર્થીઓને મહેનતપૂર્વક અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા પ્રેરણા આપી હતી. આ પહેલથી ગ્રામ્ય વિસ્તારોના યુવાઓને પોલીસ ભરતીમાં આગળ વધવા માટે મહત્વપૂર્ણ સહાય મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
