ભરૂચ શહેર સહિત જિલ્લામાં સમસ્ત બ્રહ્મસમાજના આરાધ્ય દેવ અને ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર દ્વારા આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં બ્રહ્મ અગ્રણીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ઉજવણીના પ્રારંભે સવારે પૌરાણિક ભ્રુગુઋષિ મંદિર ખાતે ભગવાન શ્રી પરશુરામજી તેમજ તેમના માતા-પિતાની પ્રતિમાઓનું કેસર સ્નાન અને વિધિવત પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ પૂજનવિધિ શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેષભાઈ દવેના હસ્તે અને આચાર્ય હરેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.
ત્યારબાદ સાંજે 4 વાગ્યે નવાડેરા સ્થિત શ્રી રાધા વલ્લભ મંદિરના પ્રાંગણમાં મહાઆરતીનું આયોજન થયું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવો અને ભૂદેવોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.
આરતી પૂર્ણ થયા બાદ ભગવાનની ભવ્ય પાલખીયાત્રા વાજતે-ગાજતે નીકળી હતી. યાત્રા નવાડેરાથી પ્રસ્થાન કરી હાથિખાના બજાર અને દાંડિયા બજાર માર્ગે ભ્રુગુઋષિ મંદિર સુધી પહોંચી હતી. સમગ્ર યાત્રા દરમિયાન ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો.
કાર્યક્રમના અંતે મંદિર પરિસરમાં તમામ ભક્તો માટે મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, શહેર પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ સહિત અગ્રણીઓ હેમલ દવે, હરેશભાઈ પુરોહિત, જયેન્દ્રભાઈ ભટ્ટ, અમરીશ દવે અને કમલેશભાઈ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં ભૂદેવોએ હાજરી આપી જન્મોત્સવને યાદગાર બનાવ્યો હતો.
