ભરૂચ તાલુકાના નાંદ ગામે બનેલી ઘટના, નબીપુર પોલીસમાં ફરિયાદ
। ભરૂચ ।
ભરૂચ તાલુકામાં આવેલાં નાંદ ગામે કબીર આશ્રમ પાસે રહેતી અમિષા જિજ્ઞેશ વસાવાએ ચારેક મહિના કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા હતાં. જેના પગલે તેના પરિવારજનો તેનાથી નાખુશ હતાં. દરમિયાનમાં ગત ગુરુવારે તે તેનો પતિ જિજ્ઞેશ તથા તેમના ફળિયામાં રહેતી કૈલાશ અરવિંદ વસાવા બાઈક પર ઝનોર ગામે ઘરવખરીનો સામાન લેવા માટે લઈ રહ્યાં હતાં. દરમિયાનમાં નાંદ ગામના અંબાજી માતાના વાળા ફળિયા પાસેથી પસાર થતાં સમયે અમિષાની માતા દક્ષા સંજય વસાવા મળતાં તેણે અમિષા અને જિજ્ઞેશના પ્રેમલગ્ન બાબતની રીસ રાખી તેમને અપશબ્દો ઉચ્ચારવા લાગ્યાં હતાં.
જોકે, તેઓ ત્યાંથી નિકળી ગયાં હતાં. જે બાદ ઝનોરથી ઘરવખરીનો સામાન ખરીદી પરત તેઓ જઈ રહ્યાં હતાં. તે વેળાં પણ નાંદ ગામે આવતાં તેની માતા દક્ષા તેમજ ફોઈ જશોદાએ તેમને રસ્તામાં જ રોકી તેમની સાથે ઝઘડો કરી તેમને લાડકીના સપાટા માર્યા હતાં. દરમિયાનમાં તેમની કૌટુંબિક દાદી લલીતા સોમજી વસાવા, પિતા સંજય પાસીયા વસાવા તેમજ દાદી નંદુ પાસિયા વસાવા ત્યા આવી જતાં તેઓ તમામે મળી અમિષા તેમજ તેના પતિ જિજ્ઞેશને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અરસામાં તેમના ફોઈનો દિકરો અલ્પેશ દિનેશ વસાવા પણ આવી જતાં તેણે પણ તેમને ધાકધમકીઓ આપી હતી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી ઓ પણ આવી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભ નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
