નબીપુર પોલીસે ગુનો નોંધી ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી
ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં શુક્લતીર્થ ગામની સીમમાં નદીની લીઝ વિસ્તારમાં રવિવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક જેસીબીના બકેટથી ગળું દબાવી દેવાથી મૃત્યું પામેલાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે ઘટના અકસ્માતે બની છે કે, કોઇએ ઇરાદાપુર્વક યુવાનની હત્યાનો કારસો રચ્યો છે તે અંગે હાલમાં અનેક તર્કવિતર્ક ચાલી રહ્યાં છે.
ભરૂચ તાલુકામાં આવેલા શુક્લતીર્થ ગામની સીમમાં રવિવારે એક યુવાનનો મૃતદેહ મળ્યો હોવાની વાત ફેલાતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર દોડી આવ્યાં હતાં. ઘટનાથી જાણ થતાં નબીપુર પોલીસ સ્ટેશનનો કાફલો પણ સ્થળ પર ધસી આવ્યો હતો. સ્થળ પર પહોંચતાં વિચિત્ર બાબત ધ્યાનમાં આવી હતી. એક યુવાનનો મૃતદેહ જમીન પર પડેલો જણાયો હતો. જેના ગળાના ભાગે જેસીબીનું બકેટ રાખેલું જણાયું હતું. જેના પગલે ઘટના કોઇ અકસ્માતને કારણે બની હતી કે પછી કોઇએ ઇરાદાપુર્વક યુવાનની નિર્મમ રીતે હત્યા કરાઇ છે તે અંગે તર્કવિતર્ક સર્જાયાં હતાં. બનાવને પગલે પોલીસે પ્રાથમિક તબક્કે સ્થળ પંચનામુ કરી મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નબીપુર પોલીસે મામલામાંમૃતક યુવાનની ઓળખ મેળવવાની કવાયત હાથ ધરવા સાથે ફરિયાદ નોંધી મામલાની તપાસમાં જોતરાઇ ગઇ છે.
