સુરત જિલ્લાના ઉમરપાડા અને ભરૂચ જિલ્લાના નેત્રંગના આદિવાસી વિસ્તારોમાં એક સમય એવો હતો જ્યારે ઉનાળો શરૂ થતાં જ પાણીની અછતને કારણે ખેતી સંપૂર્ણપણે ઠપ થઈ જતી હતી. ખેતરો સૂકા પડી જતા અને પરિવારોની આવક પર સીધી અસર પડતી હતી. પરંતુ હવે અદાણી ફાઉન્ડેશનની પહેલથી આ પરિસ્થિતિમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે.
અદાણી ફાઉન્ડેશનના માર્ગદર્શન અને આધુનિક ખેતી પદ્ધતિઓના અમલથી આજે સેંકડો આદિવાસી પરિવારો કાળઝાળ ઉનાળામાં પણ શાકભાજીની સફળ ખેતી કરી રહ્યા છે. સોલાર પંપ, ટપક સિંચાઈ (ડ્રિપ સિસ્ટમ) અને વેલાવાળા પાક માટેની ‘માંડવા’ (ટ્રેલીસ) પદ્ધતિના ઉપયોગથી ખેડૂતો ઓછા પાણીમાં વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે.
પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે અદાણી ફાઉન્ડેશને જોઈન્ટ લાયબિલિટી ગ્રુપ્સ (JLG) ની રચના કરી 38 સોલાર પંપ સ્થાપિત કર્યા છે, જેના કારણે 190 પરિવારોની કુલ 190 એકર જમીનને સીધો સિંચાઈ લાભ મળ્યો છે. સાથે સાથે પાણીનો બગાડ અટકાવવા ઉમરપાડામાં 29 અને નેત્રંગમાં 32 મળી કુલ 61 ડ્રિપ ઈરિગેશન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.
વેલાવાળા શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવા ઉમરપાડામાં 30 અને નેત્રંગમાં 300 ખેડૂતોને માંડવા માટે સહાય આપવામાં આવી છે. આ પહેલનો સૌથી મોટો લાભ મહિલા ખેડૂતોને મળ્યો છે.
ઉમરપાડાની મહિલા ખેડૂત હેમાબેન વસાવાએ જણાવ્યું કે અગાઉ ઉનાળામાં પાણીના અભાવે ખેતી શક્ય નહોતી, પરંતુ હવે માંડવા અને આધુનિક સિંચાઈ પદ્ધતિથી માત્ર 3 ગુંઠા જમીનમાં શાકભાજી ઉગાડી ₹18,500 ની આવક મેળવી છે. અન્ય મહિલાઓમાં રમીલાબેને ₹16,800 અને શારદાબેને ₹19,200 ની કમાણી નોંધાવી છે.
નેત્રંગ વિસ્તારમાં પણ સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. ઉર્મિલાબેને ₹12,500, સુનંદાબેને ₹14,200 અને દમયંતીબેને ₹13,800 ની આવક માત્ર એક-એક ગુંઠા જમીનમાં શાકભાજી ઉગાડી મેળવી છે.
આ વધારાની આવકથી આદિવાસી પરિવારોને ઘરખર્ચ ચલાવવા તેમજ બાળકોના શિક્ષણમાં મદદ મળી રહી છે. અદાણી ફાઉન્ડેશનના આ પ્રયાસોથી માત્ર ખેડૂતોની આવક જ નથી વધી, પરંતુ પાણી સંરક્ષણ અને ટકાઉ ખેતીને પણ મજબૂતી મળી છે. ટેક્નોલોજી અને યોગ્ય માર્ગદર્શનના સહારે ઉમરપાડા અને નેત્રંગની આદિવાસી મહિલાઓ આજે આર્થિક રીતે આત્મનિર્ભર બની ગ્રામ વિકાસનું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડી રહી છે.
