ભરૂચ :
ભરૂચ જિલ્લો માં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-2026 નો આજે રંગેચંગે પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે જિલ્લામાં ધોરણ-1 માં કુલ 4,625 બાળકોને શાળા પ્રવેશ અપાયો હતો, જ્યારે આંગણવાડીમાં 2,604 ભૂલકાંઓને પ્રવેશ અપાઈ નવા શૈક્ષણિક જીવનની શરૂઆત કરાવવામાં આવી હતી.
પ્રવેશોત્સવના પ્રથમ દિવસે રાજ્ય કક્ષાના 2 પદાધિકારીઓ, ડો. નવનાથ ગવ્હાણે સહિત IAS, IPS, IFS તેમજ સચિવાલય કેડરના કુલ 16 અધિકારીઓ, જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના અધ્યક્ષો, તાલુકા પંચાયત પ્રમુખો અને વરિષ્ઠ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે જિલ્લાની 908 પ્રાથમિક શાળાઓ ખાતે આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-1 તેમજ ધોરણ-9 અને ધોરણ-11 ના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો.
જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમો દરમિયાન નવીન પ્રવેશ પામનાર વિદ્યાર્થીઓને દફ્તર, પાટી-પેન, કંપાસ સહિત શૈક્ષણિક કિટ્સ નું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બાળકોના ચહેરા પરનો ઉત્સાહ અને વાલીઓની ખુશી સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યા હતા.
આ ઉપરાંત ધોરણ-9 માં 1,496 વિદ્યાર્થીઓ અને ધોરણ-11 માં 3,345 વિદ્યાર્થીઓ નો પ્રવેશ નોંધાયો હતો. ખાસ કરીને બેક ટુ સ્કૂલ સર્વે અંતર્ગત ઓળખાયેલા 478 જેટલા સ્કૂલ છોડેલા બાળકોને ફરી શાળામાં જોડવામાં આવ્યા, જે શિક્ષણ વિભાગ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે સમાજના દાતાઓએ પણ ઉત્સાહપૂર્વક સહભાગીતા નોંધાવી હતી. વિવિધ શાળાઓમાં રૂ. 1,98,890 ની રોકડ સહાય તથા રૂ. 38,83,015 ની ચીજવસ્તુઓ રૂપે સહાય પ્રાપ્ત થઈ હતી. આમ કુલ રૂ. 40,81,905 ની લોકસહાય શિક્ષણ માટે પ્રાપ્ત થઈ હતી.
ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 4 નગરપાલિકા, 667 ગામો, 908 પ્રાથમિક શાળાઓ તથા 150 સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક શાળાઓ ને આવરી લેતા 157 રૂટ પર પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ દરમિયાન ગામોના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં વિવિધ બેઠકો યોજાઈ હતી. તેમાં શાળાઓના સર્વાંગી વિકાસ, ગુણવત્તાસભર શિક્ષણ અને વિદ્યાર્થીમૈત્રી વાતાવરણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શાળા પ્રવેશોત્સવનો પ્રથમ દિવસ ભરૂચ જિલ્લામાં શિક્ષણ પ્રત્યે વધતા વિશ્વાસ અને જનસહભાગિતાનો જીવંત દાખલો સાબિત થયો હતો.
