ભરૂચ :
ભરૂચના રુંગટા વિદ્યાભવન ખાતે મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુસંગ્રહાલય, મુંબઈ દ્વારા ‘મ્યુઝિયમ ઓન વ્હીલ્સ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટેક (INTACH) ભરૂચ ચેપ્ટરના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભારતના પ્રાચીન ઇતિહાસ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો જીવંત પરિચય કરાવવાનો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ઇન્ટેક ભરૂચના સુજાતા રાવે વિદ્યાર્થીઓને ભરૂચના પૌરાણિક અને ઐતિહાસિક વારસા વિશે માહિતગાર કર્યા હતા. તેમણે ભરૂચના ઇતિહાસને સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સાંકળીને ભારતના વૈભવી સાંસ્કૃતિક વારસાની વિસ્તૃત માહિતી આપી હતી.
મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુસંગ્રહાલયના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, ‘મ્યુઝિયમ ઓન વ્હીલ્સ’ દેશના વિવિધ વિસ્તારોમાં જઈ વિદ્યાર્થીઓ સુધી સંગ્રહાલયનો અમૂલ્ય વારસો પહોંચાડવાનો એક અનોખો પ્રયાસ છે, જેથી વિદ્યાર્થીઓને પુસ્તકોની બહાર પણ ઇતિહાસને નજીકથી જાણવાની તક મળે છે.
મોબાઈલ મ્યુઝિયમમાં સિંધુ ખીણની સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રતિકૃતિઓ, માહિતીચિત્રો અને ઐતિહાસિક વિગતોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રદર્શન નિહાળીને પ્રાચીન નગર આયોજન, જીવનશૈલી, કલા, હસ્તકલા અને સાંસ્કૃતિક પરંપરાઓ વિશે રસપ્રદ માહિતી મેળવી હતી.
આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં ઇતિહાસ પ્રત્યે જિજ્ઞાસા, સંશોધનવૃત્તિ અને સાંસ્કૃતિક વારસા પ્રત્યે જાગૃતિ લાવવામાં સફળ રહ્યો હતો. રુંગટા વિદ્યાભવન દ્વારા ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
