ભરૂચ, સોમવાર: જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડૉ. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં માર્ગ સલામતી વધુ સુદ્રઢ બને, ટ્રાફિક વ્યવસ્થા સુધરે અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો થાય તે માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા તથા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન અગાઉના નિર્ણયો અંગેના એક્શન ટેકન રિપોર્ટની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરએ ઝાડેશ્વર વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ માટે અનધિકૃત પાર્કિંગ દૂર કરવા તેમજ ભારે વાહનોના અવરજવરથી સર્જાતી સમસ્યાઓ ઘટાડવા તાત્કાલિક અસરથી જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી.
આ ઉપરાંત પાલેજ ખાતે એન.એચ.-૪૮ બ્રિજ નીચે ભરૂચથી ઝાડેશ્વર તરફ જતા વાહનો માટે કટની કામગીરી, લુવારા પાટીયા નજીક ઓવરબ્રિજના પ્રશ્નો, અંકલેશ્વરની અમરાવતી ખાડી પાસે સાઇનબોર્ડ અને રંબલ સ્ટ્રીપની વ્યવસ્થા, વર્ષા હોટલ નજીક યુ-ટર્ન કાયમી બંધ કરવાની કામગીરી તેમજ વાહનોની ગતિ મર્યાદિત કરવા માટે રંબલ સ્ટ્રીપ અને રોડ માર્કિંગ જેવી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી.
જિલ્લા કલેકટરએ માર્ગ સલામતી માટે નિયમ મુજબ સ્પીડ લિમિટ અને સાઇનેઝ બોર્ડ લગાવવા, રસ્તાની બાજુના વૃક્ષોનું સમયસર ટ્રિમિંગ કરાવવા, સ્પીડ બ્રેકર, રંબલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ અને કેટ આઈઝ જેવી રોડ એન્જિનિયરિંગ સંબંધિત સુવિધાઓનો અસરકારક ઉપયોગ કરીને અકસ્માતોમાં ઘટાડો કરવા ભાર મૂક્યો હતો.
તેમણે જિલ્લાના માર્ગો પર સતત પેટ્રોલિંગ વધારવા અને માર્ગ સલામતી સંબંધિત કાયદાઓનું કડક પાલન સુનિશ્ચિત કરવા પણ સંબંધિત અધિકારીઓને દિશાનિર્દેશો આપ્યા હતા.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર આર.બી. ભોગાયતા, ટ્રાફિક ટ્રેનર તથા વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
