વાંકલ :
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં વટ સાવિત્રી વ્રતની શ્રદ્ધા, ભક્તિ અને હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સુહાગિન મહિલાઓએ પતિના દીર્ઘાયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની કામના સાથે પરંપરાગત રીતે વ્રતનું પાલન કર્યું હતું.
વ્રત નિમિત્તે મહિલાઓએ દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્યના પ્રતીક સમાન વડના વૃક્ષની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરી હતી. પૂજા બાદ વડના થડની ફરતે સૂતરનો દોરો વીંટીને પ્રદક્ષિણા કરી અને પરિવારના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
ખાસ કરીને લગ્ન બાદ પ્રથમ વખત વટ સાવિત્રી વ્રત રાખતી નવપરિણીત મહિલાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ મહિલાઓએ ધાર્મિક વિધિઓમાં ભાવપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે ગોર મહારાજ રાકેશ પંડ્યાએ મહિલાઓને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વ્રત કરાવ્યું હતું તેમજ વટ સાવિત્રી વ્રતનું ધાર્મિક મહત્ત્વ સમજાવી વ્રત કથાનું શ્રવણ કરાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
