ભરૂચ શહેરમાં વધુ વળતરની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી Taj Investment And Services નામની ફર્મ ચલાવતા દંપતીએ શેર માર્કેટ, કરન્સી અને ક્રિપ્ટો માર્કેટમાં ઊંચા વળતરનું આકર્ષણ આપી રોકાણકારો પાસેથી કુલ ₹41.85 લાખ પડાવ્યાનો આરોપ છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા દંપતી છેલ્લા પાંચ મહિનાથી ફરાર હોવાનું સામે આવ્યું છે.
એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ઝાડેશ્વરના રહેવાસી અજયરાજસિંહ જાડેજા અને તેમની પત્ની ફોરમબા જાડેજા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી કૃપાબા બારડના જણાવ્યા અનુસાર, ગત વર્ષની નવરાત્રી દરમિયાન આરોપીઓએ તેમની સાથે સંપર્ક સાધી પોતાની ફર્મ દ્વારા શેર માર્કેટ, કરન્સી અને ક્રિપ્ટો ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા.
આરોપીઓએ માત્ર ફરિયાદી જ નહીં, પરંતુ તેમના સગા-સંબંધીઓ અને મિત્રોને પણ રોકાણ કરવા પ્રેર્યા હતા. શરૂઆતના તબક્કામાં નફા તરીકે કેટલીક રકમ પરત આપીને વિશ્વાસ જીત્યા બાદ કુલ 8 રોકાણકારો પાસેથી ₹41.85 લાખ એકત્ર કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ત્યારબાદ દંપતીએ રોકાણકારો સાથેનો સંપર્ક તોડી દીધો હતો અને છેલ્લા પાંચ મહિનાથી ફરાર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપી દંપતીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
