નાસિકના ત્ર્યંબકેશ્વર મંદિરના ઐતિહાસિક અમૃત કુંડમાં મળ્યું પ્રાચીન શિવલિંગ : ASIના સંરક્ષણ કાર્ય દરમિયાન 65 ફૂટ ઊંડા કુંડનું પાણી કાઢતાં થયો મહત્વનો પુરાતત્ત્વીય શોધ
મહારાષ્ટ્રના નાસિક સ્થિત વિશ્વપ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર મંદિરના ઐતિહાસિક અમૃત કુંડમાંથી સંરક્ષણ કામગીરી દરમિયાન પ્રાચીન શિવલિંગ મળી આવ્યું છે. આ શોધને ધાર્મિક અને પુરાતત્ત્વીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા અમૃત કુંડના સંરક્ષણ અને જાળવણીના ભાગરૂપે કુંડનું પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ આશરે 65 ફૂટ ઊંડા કુંડના તળિયે શિવલિંગ જોવા મળતાં આશ્ચર્ય અને આનંદની લાગણી ફેલાઈ હતી. અમૃત કુંડનું વિશેષ ધાર્મિક મહત્વ છે. પેશ્વા યુગથી આ કુંડના પવિત્ર પાણીનો ઉપયોગ ત્ર્યંબકેશ્વર મહાદેવના અભિષેક અને વિવિધ ધાર્મિક વિધિઓ માટે કરવામાં આવે છે. વર્ષો બાદ કુંડના તળિયે શિવલિંગ મળી આવતાં ભક્તોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. હાલ ASI દ્વારા શિવલિંગ અને કુંડના ઐતિહાસિક મહત્વ અંગે વધુ અભ્યાસ અને દસ્તાવેજીકરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
