ભરૂચ.
જિલ્લાના નેત્રંગ નજીક ડેડીયાપાડા રોડ પર બે મોટરસાયકલ સામસામે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે યુવકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
નેત્રંગ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, નેત્રંગ તાલુકાના ધાણીખુંટ ગામનો સતિષ રમણભાઈ વસાવા ઝઘડિયા જીઆઇડીસીની એક કંપનીમાં નોકરી કરતો હતો. ૧૦મી તારીખે સવારે તે ગામના અવધિશભાઈ શંકરભાઈ વસાવા સાથે મોટરસાયકલ પર નોકરીએ ગયો હતો.
સાંજે નોકરી પરથી પરત ફરતી વખતે આશરે સાડા છ વાગ્યાના અરસામાં નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર હેલિપેડ નજીક સામેથી આવતી મોટરસાયકલ સાથે તેમની મોટરસાયકલની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને મોટરસાયકલ પર સવાર યુવકો રોડ પર પટકાયા હતા.
અકસ્મતમાં સામેથી આવતી મોટરસાયકલના ચાલક અંકિત દિનેશભાઈ વસાવા (રહે. કંબોડિયા, તા. નેત્રંગ)ને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે સતિષ વસાવા અને તેની પાછળ બેઠેલા અવધિશભાઈ વસાવા ઇજાગ્રસ્ત થયા હતા.
બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત સતિષ વસાવાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અવધિશ વસાવાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ અકસ્માત અંગે મૃતક સતિષ વસાવાના પિતા રમણભાઈ મોરારભાઈ વસાવા (રહે. ધાણીખુંટ, તા. નેત્રંગ)એ નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી અકસ્માત અંગે વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
એક જ અકસ્માતમાં બે યુવકોનાં મોત થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.
