ભરૂચ :
ભારતીય ટપાલ વિભાગ દ્વારા પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (PLI) અને રૂરલ પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (RPLI) યોજનાઓ માટે વીમા એજન્ટોની ભરતી હાથ ધરવામાં આવી છે. વીમા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક યુવાનો, ગૃહિણીઓ, બેરોજગાર તેમજ સ્વરોજગારીની તક શોધી રહેલા નાગરિકો માટે આ ઉત્તમ તક છે.
ભરૂચ પોસ્ટલ વિભાગ દ્વારા આગામી 20 જુલાઈ, 2026ના રોજ સવારે 10:30થી સાંજે 4:30 વાગ્યા સુધી અધિક્ષક ડાકઘરની કચેરી, લાલ બજાર, ભરૂચ ખાતે વોક-ઈન-ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત મુજબ 5,000થી ઓછી વસ્તી ધરાવતા ગ્રામ્ય અથવા નગર વિસ્તારો માટે ધોરણ-10 પાસ અને 5,000થી વધુ વસ્તી ધરાવતા વિસ્તારો માટે ધોરણ-12 પાસ હોવું જરૂરી છે. ઉપરાંત ઉમેદવારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી આવશ્યક છે.
આ ભરતી પ્રક્રિયામાં પૂર્વ લાઈફ એડવાઈઝરો, આંગણવાડી કાર્યકરો, મહિલા મંડળના સભ્યો, સ્વ સહાય જૂથના કાર્યકરો, ભૂતપૂર્વ સૈનિકો, નિવૃત્ત શિક્ષકો, બેરોજગાર યુવાનો, સ્વરોજગારી સાથે જોડાયેલા લોકો તેમજ નિર્ધારિત લાયકાત ધરાવતી અન્ય વ્યક્તિઓ અરજી કરી શકશે. જોકે હાલમાં અન્ય કોઈપણ જીવન વીમા કંપનીમાં એજન્ટ તરીકે કાર્યરત વ્યક્તિઓ આ ભરતી માટે પાત્ર ગણાશે નહીં.
પસંદગી પામેલા ઉમેદવારોએ “Supdt. of Post Office Bharuch Division on behalf of President of India” ના નામે રૂ. 5,000ની NSC અથવા KVP પ્લેજ કરાવી અરજી સાથે જમા કરાવવાની રહેશે.
રસ ધરાવતા ઉમેદવારોએ બાયોડેટા, ઉંમરનો પુરાવો, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, જરૂરી દસ્તાવેજો તથા અનુભવનો પુરાવો (જો હોય તો) મૂળ તેમજ સ્વ-પ્રમાણિત નકલ સાથે નિયત સ્થળ અને સમયે હાજર રહેવા ભરૂચ પોસ્ટલ વિભાગના અધિક્ષક ડાકઘર દ્વારા અપીલ કરવામાં આવી છે.
