ભરૂચ :
મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ઈમરજન્સી લેનમાં પાર્કિંગ લાઇટ કે કોઈપણ ચેતવણીના સંકેત વિના ઉભેલી ટ્રક સાથે ટ્રેલર અથડાતા અકસ્માત સર્જાયો હોવાની ફરિયાદ ભરૂચ ખાતે નોંધાઈ છે. અકસ્માતમાં ટ્રક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું તેમજ ટ્રેલરના કેબિનને આશરે રૂ.40 લાખનું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ મુજબ, ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના રહેવાસી અને ટ્રેલર ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મહમદ ફિરોજ છેલ્લા સાત-આઠ વર્ષથી ટ્રક નંબર MH-46-DC-9479 ચલાવે છે. તેઓ 13 જુલાઈએ નવાસેવા પોર્ટ, મુંબઈથી દ્રાક્ષનો માલ ભરી દિલ્હી તરફ જવા નીકળ્યા હતા.
15 જુલાઈની મધરાતે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર કારેલા ગામ નજીક આવેલા રેસ્ટ એરિયા પાસે ઈમરજન્સી લેનમાં ઉભેલી ટ્રક સાથે તેમનું ટ્રેલર અથડાયું હતું. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઉભેલી ટ્રકમાં પાર્કિંગ લાઇટ, હેઝાર્ડ લાઇટ કે અન્ય કોઈ ચેતવણીના સંકેતો મૂકવામાં આવ્યા ન હોવાથી અંધારામાં ટ્રક નજરે પડી નહોતી અને અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ફરિયાદીને ડાબા પગના ઘૂંટણ તથા દાઢીના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ટ્રેલરની તપાસ કરતા આગળનો કેબિનનો ભાગ સંપૂર્ણ દબાઈ ગયો હોવાનું અને આશરે રૂ.40 લાખનું નુકસાન થયાનું જાણવા મળ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદમાં ઉભેલી ટ્રકનો નંબર MP-11-ZN-4372 દર્શાવવામાં આવ્યો છે. તેના ચાલક તરીકે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી કાલુ સુખલાલનું નામ દર્શાવી તેમની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
