ભરૂચ :
ભરૂચ નગરપાલિકામાં સત્તારોહણના લગભગ બે મહિના બાદ આખરે વિવિધ સમિતિઓની રચના માટે સામાન્ય સભા યોજાઈ હતી. સભામાં શહેરના વહીવટ અને વિકાસ સાથે સંકળાયેલી કુલ 13 સમિતિઓની રચના કરવામાં આવી હતી. જોકે સમિતિઓની રચના બાદ સત્તાધારી પક્ષમાં જ અસંતોષના સૂર જોવા મળ્યા હતા. કેટલાક અનુભવી સભ્યોને યોગ્ય સ્થાન ન મળતાં આંતરિક નારાજગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સામાન્ય સભામાં કારોબારી સમિતિ, વોટર વર્ક્સ એન્ડ ગટર કમિટી, પબ્લિક વર્ક્સ કમિટી, ફાયનાન્સ એન્ડ ટેક્સેશન કમિટી, કાયદા કમિટી, ફાયર એન્ડ મોટર ગેરેજ કમિટી, સમાજ કલ્યાણ કમિટી, એસ્ટાબ્લિશમેન્ટ કમિટી, લાઇટ કમિટી, સેનિટરી કમિટી, શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ કમિટી, મેડિકલ કમિટી તેમજ બાગ-બગીચા, રમતગમત અને સાંસ્કૃતિક કમિટીની રચના કરવામાં આવી હતી.
સમિતિઓની રચના બાદ કેટલાક વરિષ્ઠ અને અનુભવી સભ્યોને મહત્વની જવાબદારી ન મળતાં ભાજપના આંતરિક વર્તુળોમાં અસંતોષ જોવા મળ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
સભા દરમિયાન વિપક્ષે શહેરમાં વધતા રખડતા પશુઓ અને હડકાયેલા કુતરાઓના ત્રાસનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિપક્ષના સભ્યોએ જણાવ્યું હતું કે શહેરના અનેક વિસ્તારોમાં લોકો સતત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે.
આ ઉપરાંત વિપક્ષે વિવિધ સરકારી ગ્રાન્ટમાંથી થયેલા ખર્ચ અંગે સવાલો ઉઠાવ્યા હતા. વિકાસના કામોમાં ગેરરીતિ અને કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપો સાથે ખર્ચનો હિસાબ જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી હતી. આ મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર વાદ-વિવાદ થયો હતો.
