ભરૂચ:
ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલા વૈકુંઠ બંગલોઝમાં રહેતી એક શિક્ષિકાના ગળામાંથી બે અજાણ્યા શખ્સોએ સરનામું પૂછવાના બહાને અંદાજે ₹2.62 લાખની સોનાની ચેઇન આંચકી ફરાર થઈ જતાં શહેરમાં ચકચાર મચી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વૈકુંઠ બંગલોઝ ખાતે રહેતાં રાજશ્રીબેન મનીષભાઈ સોલંકી, ઝાડેશ્વર સ્થિત કન્યાશાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ગઈ સાંજે તેઓ જ્યુપિટર મોપેડ પર તુલસીધામ શાક માર્કેટથી ખરીદી કરીને ઘરે પરત ફર્યા હતા.
તેઓ ઘરનાં આંગણામાં મોપેડ પાર્ક કરી રહ્યા હતા ત્યારે નંબર પ્લેટ વગરની હોન્ડા CB Shine બાઈક પર આવેલા બે યુવકો તેમના ઘરથી થોડે દૂર ઉભા રહ્યા હતા. ત્યારબાદ એક શખ્સ તેમની પાસે આવી “વજુભાઈ વાળાનું ઘર ક્યાં આવેલું છે?” તેમ પૂછ્યું હતું.
શિક્ષિકાએ સોસાયટીમાં આ નામની કોઈ વ્યક્તિ રહેતી ન હોવાનું જણાવતાં જ શખ્સે તેમના ગળામાંથી બે તોલાની અંદાજે ₹2.62 લાખ કિંમતની સોનાની ચેઇન ઝૂંટવી લીધી અને પોતાના સાથી સાથે બાઈક પર બેસી હરિહર કોમ્પ્લેક્સ તરફથી તુલસીધામ સોસાયટી તરફ ફરાર થઈ ગયો.
શિક્ષિકાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ગઠિયાઓને પકડવા દોડી આવ્યા હતા, પરંતુ બંને શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
બનાવ અંગે રાજશ્રીબેને ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ સહિતના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
