ભરૂચ: ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે ગુરુવારે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં સમગ્ર જિલ્લાને જળમગ્ન કરી દીધો હતો. છેલ્લા કેટલાક સમયથી નબળા પડેલા ચોમાસાએ અષાઢના અંતિમ તબક્કામાં જાણે આખી કસર એક જ દિવસમાં પૂરી કરી હોય તેમ માત્ર 10 કલાકમાં જિલ્લાના સિઝનના કુલ સરેરાશ વરસાદના 14 ટકા જેટલો વરસાદ નોંધાતા જનજીવન સંપૂર્ણપણે ડામાડોળ થઈ ગયું હતું.
સવારે 6 વાગ્યાથી શરૂ થયેલો અનરાધાર વરસાદ દિવસભર યથાવત રહ્યો હતો. સૌથી વધુ અસર નેત્રંગ તાલુકામાં જોવા મળી હતી, જ્યાં માત્ર 10 કલાકમાં જ 11 ઇંચ વરસાદ ખાબકતાં નદી-નાળા છલકાઈ ઉઠ્યા હતા. અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અંકલેશ્વર તાલુકામાં પણ પોણા 6 ઇંચ વરસાદ નોંધાતા શહેર તેમજ જીઆઈડીસીના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતાં રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.
ભરૂચ શહેરમાં સવા 5 ઇંચ વરસાદ વરસતાં ફુરજા, દાંડિયાબજાર, ધોળીકુઈ, કસક અને સેવાશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. ફુરજા વિસ્તારમાં અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરમાં જનજીવન થંભી ગયું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. ઝઘડિયામાં સવા 5 ઇંચ, હાંસોટમાં 4 ઇંચ, વાલિયામાં સાડા 3 ઇંચ, વાગરામાં સવા 3 ઇંચ, જંબુસરમાં 2 ઇંચ અને આમોદમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.
ભારે વરસાદને પગલે જિલ્લાના અનેક રસ્તાઓ, સોસાયટીઓ, દુકાનો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોનું જનજીવન પ્રભાવિત બન્યું હતું. સમગ્ર જિલ્લામાં વરસાદી પાણીના કારણે વાહનવ્યવહાર ખોરવાવાની સાથે સામાન્ય જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી.
