ભરૂચ:
વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આવેલા બ્રિજ પર ગુરુવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ભારદારી ટ્રક અચાનક બ્રિજ પરથી નીચે ખાડીમાં ખાબકતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત બાદ હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ટ્રકની નીચેથી એક મૃતદેહ મળી આવ્યો હતો.
અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ONGCની ફાયર ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી અને બંને ટીમોએ સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે વજનના ટ્રકને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી.
રેસ્ક્યુ દરમિયાન જ્યારે ક્રેન વડે ટ્રકને ઊંચકવામાં આવ્યો ત્યારે તેની નીચેથી એક મૃતદેહ મળી આવતા સ્થળ પર હાજર લોકોમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તબક્કે અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ટ્રક કેવી રીતે બ્રિજ પરથી નીચે ખાબક્યો, તેમાં કેટલા લોકો સવાર હતા તેમજ મળી આવેલ મૃતદેહ ટ્રક ચાલકનો છે કે અન્ય કોઈ વ્યક્તિનો છે તે સહિતના તમામ મુદ્દે વાગરા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતીની રાહ જોવા અપીલ કરી છે. અકસ્માત અંગે વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.
