ભરૂચ:
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ભરૂચમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. દહેજ બાયપાસ રોડ પર તૈયાર થઈ રહેલા આ સ્ટેશનની બાહ્ય ડિઝાઇન ભરૂચની પરંપરાગત સૂતરાઉ વણાટ કળાથી પ્રેરિત હોવાથી તે શહેરની સાંસ્કૃતિક ઓળખને પણ ઉજાગર કરશે.
સ્ટેશનને વિશ્વસ્તરીય મુસાફરીનો અનુભવ મળે તે માટે અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. વિવિધ સ્તરો વચ્ચે સરળ અવરજવર માટે લિફ્ટ અને એસ્કેલેટરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો અને બાળકો સાથે મુસાફરી કરતા પરિવારોને અનુકૂળ રહે તેવી સુવિધાઓને પણ ડિઝાઇનમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.
સ્ટેશન બિલ્ડિંગની બહાર કાર, દ્વિચક્રી વાહનો, ઓટો-રિક્ષા અને બસ માટે અલગથી પિક-અપ અને ડ્રોપ-ઓફ ઝોન તેમજ વિશાળ પાર્કિંગ સુવિધા વિકસાવવામાં આવી રહી છે. સાથે જ મુસાફરો માટે વિશાળ પદયાત્રી પ્લાઝાનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
કનેક્ટિવિટીની દ્રષ્ટિએ પણ ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન મહત્વપૂર્ણ રહેશે. સ્ટેશનને ભરૂચ–દહેજ રાજ્ય ધોરીમાર્ગ સાથે સીધી કનેક્ટિવિટી આપવામાં આવી છે. ઉપરાંત મુંબઈ–દિલ્હી એક્સપ્રેસવે અહીંથી માત્ર 2 કિલોમીટર દૂર છે, જ્યારે ભરૂચ રેલવે સ્ટેશનનું અંતર આશરે 7 કિલોમીટર છે.
ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન મુખ્યત્વે બે સ્તરો ધરાવે છે, જેમાં ગ્રાઉન્ડ લેવલ અને બંને બાજુ પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. સ્ટેશન ખાતે રેલ અને પ્લેટફોર્મ સ્લેબ કાસ્ટિંગ, સ્ટ્રક્ચરલ સ્ટીલ ઇરેક્શન તેમજ રૂફ શીટિંગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલમાં બાહ્ય એલિવેશન, પ્લેટફોર્મ ફ્લોરિંગ અને આર્કિટેક્ચરલ ફિનિશિંગનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાકાર થયા બાદ ભરૂચને દેશના હાઇ-સ્પીડ રેલ નેટવર્કમાં મહત્વનું સ્થાન મળશે અને શહેરના પરિવહન, વેપાર તથા વિકાસને નવી દિશા મળશે.
