ભરૂચ:
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા ઐતિહાસિક અને ધાર્મિક વિવાદ વચ્ચે આજે શ્રી ચક્રધર સ્વામીના અવતાર દિવસ નિમિત્તે મહાનુભાવ પંથના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પરિસરની મુલાકાત લીધી હતી. મહારાષ્ટ્ર, ઉત્તર ભારત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી સંતો અને ભાવિકો ભરૂચ પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિને પગલે જામા મસ્જિદ તથા આસપાસના વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી.
આ પ્રસંગે સુદર્શન નાગરાજ કપાટેએ જણાવ્યું હતું કે, મહાનુભાવ સંપ્રદાયના સંસ્થાપક શ્રી ચક્રધર સ્વામીનું ભરૂચ સાથે ઐતિહાસિક જોડાણ છે. તેમના દાવા મુજબ, આ સ્થળે ચક્રધર સ્વામીનો અવતાર થયો હતો અને અહીં તેમનો રાજમહેલ આવેલો હતો. તેમણે આ સ્થળને સનાતન ધરોહર ગણાવી હિન્દુ, જૈન અને મહાનુભાવ પરંપરાની સાંસ્કૃતિક એકતાનો ઉલ્લેખ કર્યો હતો.
જામા મસ્જિદને પ્રાચીન હિન્દુ-જૈન ધાર્મિક સ્થળ અને ચક્રધર સ્વામીની જન્મભૂમિ હોવાના દાવાને લઈને વિવિધ હિન્દુ અને જૈન સંગઠનો દ્વારા લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે. બીજી તરફ, આ મુદ્દે ઐતિહાસિક અને કાયદાકીય સ્તરે વિવાદ ચાલી રહ્યો છે. તેથી સમગ્ર મામલો સંવેદનશીલ બન્યો છે. દરમિયાન, અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત ‘ઐતિહાસિક જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ’ તથા ‘સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ, ભરૂચ’ દ્વારા ઝાડેશ્વર સ્થિત BAPS મંદિર પાછળના ગ્રાઉન્ડ ખાતે જન્મજયંતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂ. સંતશ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ અધ્યક્ષસ્થાને રહેશે. સંતો-મહંતો અને મુખ્ય વક્તાઓ દ્વારા સનાતન ધરોહરના સંરક્ષણ સહિતના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવશે.
