ભરૂચ :
ભરૂચના ગોલ્ડન બ્રિજ નીચેથી અંકલેશ્વર તરફ જવાના નદીકિનારે ઝાડીઓમાંથી અજાણ્યા પુરુષનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતદેહ સડી ગયેલી હાલતમાં મળી આવ્યો હોવાથી આ બનાવને લઈને અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. જોકે, હાલ પુરુષનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી.
નદીકિનારે ઝાડીઓમાં મૃતદેહ પડેલો સ્થાનિકોના ધ્યાને આવતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. માહિતી મળતાં ધર્મેશ સોલંકી પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર તપાસ કરતાં અત્યંત સડી ગયેલી હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા તાત્કાલિક ભરૂચ સી-ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.
જાણ થતાં સી-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે, પ્રાથમિક તપાસમાં ઘટનાસ્થળ અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસની હદમાં આવતું હોવાનું સામે આવતા સી-ડિવિઝન પોલીસે અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હોવાથી પુરુષનું મોત કેટલા સમય પહેલાં થયું હશે અને તે અહીં કેવી રીતે પહોંચ્યો તેવા સવાલો ઉઠી રહ્યા છે. શું કોઈ દુર્ઘટનાના પગલે નદીકિનારે પહોંચ્યો હતો કે પછી અન્ય કોઈ સંજોગોમાં મૃતદેહ અહીં આવ્યો હતો? હાલ આ તમામ બાબતો તપાસનો વિષય બની છે.
મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી. પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા તેમજ સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ સહિતની તપાસ બાદ જ મોતનું ચોક્કસ કારણ અને બનાવ પાછળની હકીકત સ્પષ્ટ થશે.
