ભરૂચ :
વાગરા તાલુકાના સારણ ગામના ખેડૂતોએ ઔદ્યોગિક પ્રદૂષણના કારણે ખેતપાકોને નુકસાન થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરી ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. ખેડૂતો દ્વારા હેમાની કોપકેર પ્રા.લિ. અને જી.એસ.પી. નિલકંઠ ઇન્વાયરો કંપનીમાંથી નીકળતા પ્રદૂષણયુક્ત ગેસના કારણે પાક તેમજ વૃક્ષોને નુકસાન થતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
ખેડૂતોની રજૂઆત મુજબ, કંપનીઓમાંથી નીકળતા ગેસના કારણે સારણ ગામની આસપાસના ખેતરોમાં કપાસ, તુવેર, મગ સહિતના કઠોળ પાકોને નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નહીં, લીમડો, સમડી સહિતના મોટા વૃક્ષો પણ સુકાઈ જતાં હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ખેતી પર નિર્ભર ખેડૂતો માટે આ પરિસ્થિતિ આર્થિક નુકસાનનું કારણ બની રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
ખેડૂતોએ વધુમાં જણાવ્યું છે કે, અગાઉ કંપનીની ચોક્કસ પ્રોડક્ટનું ઉત્પાદન આશરે ત્રણ વર્ષ સુધી ચાલુ હતું ત્યારે પણ પાકને નુકસાન થયું હતું. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી ઉત્પાદન બંધ રહ્યું ત્યારે પાકને નુકસાન ન થયું હોવાનો ખેડૂતોનો દાવો છે. જેના આધારે સંબંધિત પ્રોડક્ટનું ઉત્પાદન બંધ કરવાની માંગ કરવામાં આવી છે. અન્ય પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે તો ખેડૂતોને વાંધો ન હોવાનું પણ રજૂઆતમાં સ્પષ્ટ કરાયું છે.
આ મામલે મામલતદાર દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓને સ્થળ તપાસ માટે મોકલવામાં આવ્યા હોવાનું ખેડૂતોનું કહેવું છે. GPCBની ટીમે કંપનીની મુલાકાત લઈને તપાસ કરી હોવા છતાં ખેડૂતોને તપાસના પરિણામ અંગે કોઈ જાણ કરવામાં આવી નથી.
ખેડૂતોએ કલેક્ટરને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવી પાકને થયેલા નુકસાનનું વળતર અપાવવા તેમજ પ્રદૂષણનું કારણ બનતી પ્રોડક્ટનું ઉત્પાદન બંધ કરાવવા માંગ કરી છે. હવે તંત્ર દ્વારા આ ફરિયાદ અંગે કઈ કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સારણ ગામના ખેડૂતોની નજર છે.
