વાંકલ:
વાંકલ સ્થિત ‘ધી પાનેશ્વર દૂધ ઉત્પાદક મંડળી’ના પ્રમુખપદે નવયુવાન ડૉ. યુવરાજસિંહ સોનારીયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. નાની વયે મંડળીના પ્રમુખ તરીકે જવાબદારી મળતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી છે.
મંડળીની બેઠક દરમિયાન નાથુભાઈ મકવાણા દ્વારા ડૉ. યુવરાજસિંહ સોનારીયાના નામની પ્રમુખપદ માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ દરખાસ્તને મંડળીના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ આગેવાન નૌશીરભાઈ પારડી વાલાએ સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ મંડળીના તમામ સભ્યોએ સર્વાનુમતે ડૉ. યુવરાજસિંહની પ્રમુખપદે બિનહરીફ પસંદગી કરી હતી.
ઉલ્લેખનીય છે કે નૌશીરભાઈ પારડી વાલાએ મંડળીમાં સતત 45 વર્ષ સુધી મંત્રી તરીકે તેમજ 6 વર્ષ સુધી પ્રમુખ તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી છે. તેમની પ્રેરણાદાયી આગેવાની અને માર્ગદર્શન હેઠળ મંડળીની નવી જવાબદારી માટે યુવા નેતૃત્વની પસંદગી કરવામાં આવી છે.
ડૉ. યુવરાજસિંહ સોનારીયાની બિનહરીફ વરણી બાદ મંડળીના સભ્યો તેમજ વાંકલ અને આસપાસના પંથકના આગેવાનો અને દૂધ ઉત્પાદકો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. યુવા પ્રમુખની નિમણૂકથી મંડળીના વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
