ભરૂચ:
ભક્તોના દુઃખડા હરતી દશામાએ દશ દિવસ સુધી ભક્તોના ઘરે આતિથ્ય માણ્યા બાદ વિદાય લેશે. દશામાની પ્રતિમાના વિસર્જનને લઈને ભક્તોમાં ભાવુક માહોલ જોવા મળી રહ્યો છે. માતાજીને વિદાય આપવા મોટી સંખ્યામાં ભક્તો ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા નર્મદા પાર્ક ખાતે પહોંચશે.
દશ દિવસ સુધી ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક દશામાની પૂજા-અર્ચના કર્યા બાદ માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. વિસર્જન સમયે ભક્તો ભારે હૈયે માતાજીને વિદાય આપશે અને **‘દશામા આવતા વર્ષે વહેલા આવજો’**ના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠશે.
નર્મદા પાર્ક ખાતે તંત્ર સજ્જ
દશામાની પ્રતિમાઓના વિસર્જનને ધ્યાનમાં રાખીને ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા નર્મદા પાર્ક ખાતે તંત્ર દ્વારા જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભક્તો શ્રદ્ધાભેર પાવન સલીલા નર્મદા નદીમાં દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરશે. રાત્રિના સમયે મોટી સંખ્યામાં ભક્તો દશામાની પ્રતિમાઓ સાથે વિસર્જન સ્થળે પહોંચે તેવી શક્યતા છે. માતાજીની વિદાય વેળાએ ભક્તોમાં ભાવુક દૃશ્યો સર્જાશે.
પોલીસ અને ફાયર વિભાગ તૈનાત
વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોની ભીડ એકત્રિત થવાની સંભાવનાને પગલે તંત્ર દ્વારા નર્મદા પાર્ક ખાતે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગની ટીમો તેમજ ફાયર વિભાગના જવાનોને પણ તૈનાત રાખવામાં આવશે. દશ દિવસ સુધી ભક્તોના ઘરે રહી તેમના દુઃખડા હરનાર દશામાને ભક્તો શ્રદ્ધા અને ભાવુકતા સાથે વિદાય આપશે. **‘દશામા આવતા વર્ષે વહેલા આવજો’**ના જયઘોષ સાથે માતાજીની વિદાયના દૃશ્યો જોવા મળશે.
