ભરૂચ:
ભરૂચના સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ બનવાના હેતુથી સમૂહ નિકાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પાંચ યુગલના નિકાહ ધાર્મિક વિધિ મુજબ સંપન્ન કરાવવામાં આવ્યા હતા.
સમૂહ નિકાહ પ્રસંગે મૌલાના તથા ટ્રસ્ટના આગેવાનોની ઉપસ્થિતિમાં નિકાહખ્વાનીની ધાર્મિક વિધિ યોજાઈ હતી. જરૂરિયાતમંદ પરિવારો પર લગ્ન પ્રસંગે આવતો આર્થિક બોજ ઓછો થાય તેમજ સમાજ તરફથી તેમને સહયોગ મળી રહે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા આ સેવાકીય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા સહિત સમાજના આગેવાનો, ટ્રસ્ટના સભ્યો, શુભેચ્છકો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટી ડૉ. સૈયદ અબ્દુલ રશીદ બાબાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમને ઉપસ્થિત મહાનુભાવોએ આવકાર્યો હતો.
